મુંબઈ
ફિલ્મ ‘શેરશાહ’ થી ફરી એકવાર લાઈમલાઈટમાં આવનાર એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા છેલ્લા કેટલાક સમયથી તેની ગર્લ ફ્રેન્ડ કિયારા અડવાણીની સાથેના અફેરના કારણે ચર્ચામાં છે. એક ઈન્ટરવ્યૂમાં સિદ્ધાર્થે તેની સ્ટ્રગલને યાદ કરતા કહ્યું હતું કે, દિલ્હીથી મુંબઈ આવવું અને અહીંયા સુધી પહોંચવું મારા માટે આસાન ન હતું. હું છેલ્લા ૧૦ વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છું અને મને લાગે છે કે, મેં મારા કામમાં વિવિધ કેરેકટર્સ ભજવીને લોકોને એન્ટરટેઈન કર્યા છે. હું માનું છું કે, કોઈપણ ઈન્ડસ્ટ્રીમાં તમારે જાતે જ અમૂક વિચારધારાથી ચાલવું પડે છે અને કામ પ્રત્યેનું તમારું ડેડિકેશન જ તમને આગળ લઈ જાય છે અને સક્સેસ મળી શકે છે. હું સ્ટ્રગલની સાથે મહેનતનું બેસ્ટ ઉદાહરણ છું. આ સાથે જ તેણે ઉમેર્યું હતું કે, તમે કોઈ દિવસ રાતોરાત કોઈના પણ માટે ઉદાહરણરૂપ નથી બની જતા અને તેના માટે તમારે ઘણી મહેનત કરવી પડે છે અને લોકોને પ્રેમ આપવો પડે છે. મને ઓડિયન્સે ખૂબ જ સપોર્ટ કર્યો છે અને તેમને ચાહું છું. ઘણીવાર શબ્દોથી વધારે તમારી એક્શન કામ કરે છે. કરિયરના આ સ્ટેજ પર હું વિચારું છું કે, ભગવાને જે પણ મને આપ્યું છે તેનો હું આભારી છું અને તેમની દયાથી જ હું આગળ વધી શક્યો છું અને કરોડો લોકોના દિલમાં જગ્યા બનાવી શક્યો છું.


