ગિરગઢડા
ભરત ગંગદેવ…
ગીરગઢડા અને તાલાલા તાલુકાઓમાં મહાનુભવો અને આરોગ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં બ્લોક હેલ્થ મેળો ખુલ્લો મુકાયો હતો. આ મેળામાં લાભાર્થીઓએ વિનામુલ્યે નિષ્ણાંત અને સ્પેશિયાલીસ્ટ ડોકટરોની સેવાનો લાભ લીધો હતો.
રાજ્ય સરકાર દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામાં વિવિધ સ્થળોએ આરોગ્યતંત્ર દ્વારા જુદા-જુદા આરોગ્યલક્ષી સ્ટોલ દ્વારા જન જાગૃતિ પણ લાવવામાં આવી રહી છે. આરોગ્ય મેળામાં તજજ્ઞો દ્વારા આરોગ્ય તપાસ, સારવાર, દવા, લેબોરેટરી વગેરે સેવાઓ મળી રહે છે. સાથે જ આયુર્વેદિક દવાઓ પણ ઉપલબબ્ધ કરાવવામાં આવે છે. ઉપરાંત યોગ-પ્રાણાયામથી થતા ફાયદાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. આમ આ મેળાઓ આરોગ્યપ્રદ જીવન શૈલી મેળવવાં માટે રોજિંદા જીવનમાં ફેરફારો અંગે જાગૃતિ લાવવાના પણ માધ્યમ બન્યા છે.
મેળાની વિગતો જોવામાં આવે તો મેળામાં આરોગ્ય સંભાળ સેવાઓ, ટેલીકન્સલ્ટેશન, ડાયાબીટીસ, હાઇ બી.પી.નું નિદાન, મોઢાનું કેન્સર, મોતિયાની તપાસ વગેરે આરોગ્ય સેવાઓ વિનામૂલ્યો મળી રહે છે. સાથે હેલ્થ આઇ.ડી. કાર્ડ અને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કાર્ડ આ મેળાના માધ્યમથી મેળવી શકે છે. આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ખાતે યોગા સેશન વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ આરોગ્ય સ્ટોલોની મુલાકાત લઇ જાણકારી મેળવી હતી.


