જૂનાગઢ જિલ્લા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો સરેરાશ ઘટના સ્થળે પહોંચવાનો સમય ૧૭ મીનીટ ૨૪ સેકન્ડ જેટલો છે. જ્યારે રાજ્યમાં ૧૭ મીનીટ ૪૧ સેકન્ડ જેટલો છે. આમ, રાજ્યભરમાં જૂનાગઢ જિલ્લાની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા લોકોને કટોકટીની સ્થિતિમાં સેવા આપવામાં અગ્રેસર છે.
અકસ્માત કે આપત્તિના સમયે ઇજાગ્રસ્ત બીમાર વ્યક્તિને તાત્કાલીક સારવાર પુરી પાડતી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે.જૂનાગઢ જિલ્લામાં ૧૦૮ દ્વારા જુન માસમાં એવરેજ રીસ્પોન્સ ટાઇમ અન્ય જિલ્લાઓ કરતા ઓછો છે. આમ, અત્યંત કટોકટીની પળોમાં લોકોને સારવાર આપવામાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા સરાહનીય કામગીરી કરી રહી છે.
જૂનાગઢ જિલ્લા ૧૦૮ ઓફિસર શ્રી વીશ્રુત જોષી એ જણાવ્યું હતું કે, ઇમરજન્સી કેસ આવે એટલે એમ્બ્યુલન્સ સ્ટાફને સ્ટેન્ડબાય જ રાખવામાં આવે છે અને ૧૦ જ સેકન્ડમાં ગાડી નીકળી જાય છે. સાથે જ પેશન્ટનો ફોન આવ્યા બાદ કોલર સાથે ૨-૩ વાર વાત કરવામાં આવે છે. જેથી ઘટના સ્થળે પહોંચવામાં મોડુ ન થાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ જૂનાગઢ જિલ્લામાં ૧૬ એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેમાં ૩૧ ડોક્ટર ઇએમટી, ૩૧ પાઇલોટ ફરજ બજાવે છે.
૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની સાથે ખીલખીલાટની સુવિધા શરૂ છે. જેનો જુન મહિનામાં ૭૨૦૦ સર્ગભાઓ એ લાભ લીધો હતો.


