પાટણ
પીંપરાળા ગામે ઘર સામે બેસતા યુવાનને ઠપકો આપવા બાબતે રાઠોડ પરિવારના પિતા-પુત્ર પર ૧૧ શખ્સોએ હિચકારો હુમલો કર્યો હતો. અને હુમલામાં એક ગંભીર ઇજાગ્રસ્તને અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ ખસેડ્યા છે. આ હુમલોમાં ઇજાગ્રસ્ત યુવાન તુલસીભાઇએ સાંતલપુર પોલીસ મથકે અગિયાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.સાંતલપુર તાલુકાના પીંપરાળા ગામે રહેતા પોપટભાઇ હરખાભાઇ રાઠોડ તેમના ઘરની સામે શટરવાળી દુકાન પર અવાર-નવાર અનવર હુસેન, બસીર રહેમાન, આલમ રહેમાન બેસીને અવાર નવાર ઉંચા અવાજે અપશબ્દો બોલતા હતા. તે બાબતે પોપટભાઇએ ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને અગિયાર શખ્સો એકસંપ પ્રાણઘાતક હથિયારો સાથે પોપટભાઇના ઘરે આવીને જાતિવિષયક અપશબ્દો બોલીને લાકડી ધોકા વડે આડેધડ માર મારીને પોપટભાઇ અને તેમના દીકરા તુસલીભાઇને ઇજાઓ પહોચાડી હતી. આ અંગે ઇજાગ્રસ્ત તુલસીભાઇ રાઠોડએ સાંતલપુર પોલીસ મથકે ૭ શખ્સોની નામ જાેગ અને ૪ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઇ ડી.કે.ચૌધરીએ જણાવ્યું હતું કે આ ઘટના પગલે પીંપરાળા ગામે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. હાલમાં ઇજાગ્રસ્ત પોપટભાઇને સારવાર હેઠળ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે.

