ભરૂચના પાલિકાના વોર્ડ નંબર 8માં આવેલાં મોટા ડભોઇયાવાડના મુખ્ય રસ્તા પર ગટરના પાણી વહી રહયાં હોવાથી સ્થાનિકોની હાલત કફોડી બની છે. શાળાના બાળકોથી માંડી મોટેરાઓને નાક બંધ કરીને ગંદા પાણીમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ હોવા છતાં પાલિકા સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહયું છે. વોર્ડ નંબર 8માં આવેલાં મોટા ડભોઇયા વાડ કોળીવાડ, સત્કાર, કાલુપીર તકિયા, મારુતિ નગર અને ન્યૂ આનંદ નગર વિસ્તારના લોકો માટે મહત્વના ગણાતા માર્ગ ઉપર જ ગટરના ગંદા પાણી વહી રહયાં છે.
આ રસ્તા ની તદ્દન બાજુમાં પ્રાથમિક શાળા આવેલી છે અને જેમાં બાળકો અભ્યાસ કરે છે. અભ્યાસ માટે શાળાએ પહોંચતા પહેલાં બાળકોને નાક બંધ કરી ગટરના ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. રસ્તાની આજુબાજુ રહેતાં લોકોની હાલત એકદમ કફોડી બની છે.
આ માર્ગ પરથી ટુ વ્હીલર પસાર કરવું પણ મુશ્કેલ બને છે ત્યારે આસપાસના રહીશોને રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે .બિસમાર રસ્તાઓ તેમજ ઉભરાતી ગટરોનું વહેલીતકે નિરાકરણ નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી સ્થાનિકોએ આપી છે. નગરપાલિકામાં છેલ્લા 3 મહિનાથી રજુઆત કરવા છતાં કોઇ પગલાં ભરવામાં આવતા નહી હોવાથી લોકોમાં ભયનો માહોલ છે.


