રાજકોટ
ધારાસભ્ય ગોવિંદ પટેલ, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અને ફરિયાદી સખિયા બંધુએ કરેલી ફરિયાદ બાદ ગૃહ વિભાગે એસીબીને તપાસ સોંપી હતી. એસીબી તપાસમાં હથિયારોના લાયસન્સ અંગે પણ તપાસ કરવા વિગતો માગવામાં આવી છે. હાલ મનોજ અગ્રવાલ સામે ભ્રષ્ટાચાર અંગે તપાસ ચાલી રહી છે.મનોજ અગ્રવાલના કાર્યકાળમાં ૩૫૦થી ૪૦૦ હથિયારના લાયસન્સ ઇશ્યુ થયાની માહિતી ગૃહ વિભાગને મળી છે. આથી ગૃહ વિભાગ નવા લાયસન્સધારકોની પૂછપરછ કરી શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. રાજકોટમાં અગાઉ સંખ્યાબંધ હથિયારના લાયસન્સ ઇશ્યુ થયા જ હતા ત્યારે નવા ૩૫૦થી ૪૦૦ હથિયારના લાયસન્સ કોને કોને ઇશ્યુ થયા તેની જાેરશોરથી ચર્ચા લોકોમાં થઇ રહી છે. આ કેસમાં તત્કાલિન સીપી મનોજ અગ્રવાલ, પીઆઈ વી.કે. ગઢવી અને પીએસઆઈ એસ.વી. સાખરા સામે ગૃહ વિભાગે એસીબીને તપાસ સોંપી હતી. આથી એસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર મકરંદ ચૌહાણની ટીમે તપાસ કરી રહી છે. સાથે આસિસ્ટન્ટ ડાયરેક્ટર આશુતોષ પરમાર સહિતની ટીમે તપાસમાં ઝંપલાવ્યું છે. ૨૧ દિવસ પહેલા ગેરકાયદેસર મિલકતો અંગેના પુરાવાઓ એકત્ર કરી ગાંધીનગર લઈ જવાયા હતા. રાજકોટ શહેરના તત્કાલિન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ધારાસભ્યે તોડબાજીકાંડના આરોપ લગાવ્યા હતા. જેની ૨૬ દિવસ તપાસ બાદ મનોજ અગ્રવાલની બદલી કરવામાં આવી હતી. મનોજ અગ્રવાલની જૂનાગઢ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ટ્રેનિંગ સેન્ટર ખાતે બદલી?? કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાની પરવાનગી વગર જૂનાગઢ છોડી શકાશે નહીં. ઉપરાંત અપ્રમાણસર મિલકતની તપાસ કરવાનો આદેશ અપાયો હતો. અગ્રવાલ સાથે કમિશનકાંડમાં સંકળાયેલા અન્ય ઇન્સ્પેક્ટર સબ-ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ અને સ્થાનિક બિલ્ડરોએ જ રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ઉપર રૂપિયા ૭૫ લાખની તોડ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે ગોવિંદ પટેલે રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી હતી. જે બાદ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તપાસ કમિટી રચીને તપાસ હાધ ધરાઈ હતી. આ સમય દરમિયાન ગાંધીનગર સીઆઈડીની ટીમે પણ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ધામા નાંખીને તપાસ હાથ ધરી હતી. તોડકાંડ મામલે ઘેરાયા બાદ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આઈપીએસ વિકાસ સહાયની અધ્યક્ષતામાં બનેલી આ કમિટીએ તપાસના અંગે ૨૦૦ પાનાંનો રિપોર્ટ ગૃહ વિભાગને સોંપ્યો હતો. તપાસ કમિટીના રિપોર્ટ બાદ મનોજ અગ્રવાલની બદલી કરી દેવામાં આવી હતી. તોડકાંડ મામલે મનોજ અગ્રવાલની ૧૦ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર સ્થિત પોલીસ એકેડમી ખાતે પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં મનોજ અગ્રવાલ પર ૭૫ લાખ રૂપિયાના તોડકાંડ મામલે વિકાસ સહાયએ પૂછપરછ કરી હતી.રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલે ૨ ફેબ્રુઆરીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો હતો. જેમાં રાજકોટના તત્કાલિન પોલીસ કમિશનર ૧૫ ટકાના કમિશને હવાલાના પૈસા પાછા અપાવે છે તેવો ઉલ્લેખ કર્યો હતો. ગોવિંદ પટેલના આ લેટર બોમ્બના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા હતા. બાદમાં તપાસ સમિતિની રચના કરી મનોજ અગ્રવાલની જૂનાગઢ બદલી કરવામાં આવી હતી. બાદમાં એસીબોને તપાસ સોંપાઇ હતી. હવે ગૃહ વિભાગે મનોજ અગ્રવાલના કાર્યકાળમાં ૩૫૦થી ૪૦૦ બંદુકના લાયસન્સ ઇશ્યુ થયા હતા તેની વિગત મગાવ્યાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. સુત્રો મુજબ એક હથિયાર લાયસન્સ ઇશ્યુ કરાવવા ૫થી ૭ લાખ લેવામાં આવતા હોવાની ગૃહ વિભાગને માહિતી મળી હતી.
