પ્રાપ્ત વિગતો અનુસાર પ્રકૃતિની ગોદમાં આવેલ શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ ખાતે આજ રોજ સ્વામી વિવેકાનંદ ના જન્મ જયંતિ એ રાષ્ટ્રિય યુવા દિન ની ઉજવણી અંતર્ગત શાળામાં વકૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લઈ “મતદાન જાગૃતિ” અને “દેશના વિકાસમાં યુવાનોનું મહત્વ” વિષય ઉપર પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા હતા. શાળાના એન.એસ.એસ. ના સ્વયં સેવકો દ્વારા મતદાન જાગૃતિ અને વ્યસન મુક્તિ ના બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી હતી. જેને ગ્રામ લોકો તરફ થી સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. આજના કાર્યક્રમ ના અંતમાં શાળાના સુકાની શાહિદ શેખ દ્વારા વિદ્યાર્થીઓને મતદાન તેમજ એક મતના મૂલ્ય ની ઉંડાણ પુર્વકની સમજ વિધાનસભા અને અન્ય સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં એક મત થી થયેલ હાર જીત ના દ્રષ્ટાંતો દ્વારા આપવામાં આવી હતી. તેઓશ્રી એ યુવાનો ને વ્યસનો થી દુર રહેવા ઉપર ભાર મૂકી જણાવ્યું હતું કે આજનો યુવાન અજ્ઞાનતા ને લઈ વ્યસનોની નાગચુડ માં ફસાયેલો જોવા મળે છે. આજનો યુવાન એ દેશનું ભવિષ્ય છે. આપણે ભારત દેશ ને વિશ્વની મહાસત્તા બનાવવું હોય તો યુવાનો ને વ્યસન મુક્ત થવું જ પડશે. વ્યસનો બિમારી, શારીરિક અસમર્થતા અને આર્થિક પાયમાલી જ નોંતરે છે. તેવું જણાવી પોતે વ્યસન મુક્ત રહી આસપાસ રહેતા પાંચ યુવાનો ને વ્યસન મુક્ત બનાવવાનો સંકલ્પ ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો પાસે લેવડાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ નું આયોજન અને સંચાલન પ્રિયંકાબેન પટેલ અને અશ્વિનભાઈ વણકર દ્વારા આચાર્યશ્રી શાહિદ શેખના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


