મુંબઈ
તાજેતરમાં પોપ સિંગ જસ્ટિન બીબરને પણ રામસે હંટ સિંડ્રોમ બિમારી થઈ હતી. જસ્ટિન બીબરે તેના ફેન્સને આ અંગે જણાવ્યું હતું. હવે ઐશ્વર્યાએ પણ તેની આ બિમારીને લઈને ખુલાસો કર્યો છે. ઐશ્વર્યા સખૂજાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં તેને રામસે હંટ સિંડ્રોમ બિમારી થઈ હતી. જેના કારણે તે યોગ્ય રીતે કોગળા પણ કરી શકતી નહોતી. ઐશ્વર્યા સખૂજાએ જણાવ્યું કે, ‘મે ના ભૂલૂંગી’ શો માટે અમે બેક ટુ બેક શુટીંગ કરી રહ્યા હતા. ત્યારે વેડિંગ સીક્વન્સ માટે શુટીંગ કરી રહ્યા હતા. મારે બીજા દિવસે બપોરે બે વાગ્યે જવાનું હતું અને એક રાત પહેલા રોહિતે (ઐશ્વર્યાના પતિ)એ મને કહ્યું હતું કે, તું આંખ કેમ મારી રહી છે? મેં આ વાત પર વધારે ધ્યાન આપ્યું નહોતું અને મજાકમાં કાઢી નાખી હતી. બીજા દિવસે સવારે બ્રશ કરતા સમયે કોગળા કરતા મને તકલીફ થઈ રહી હતી. હું મારા મોઢામાં પાણી પણ રાખી શકતી નહોતી. એકવાર ફરી આ વાતને મેં ખૂબ જ હલ્કામાં કાઢી નાખી હતી. મને એવું લાગી રહ્યું હતું કે, આ બધુ સ્ટ્રેસના કારણે થઈ રહ્યું છે. ઐશ્વર્યાએ વધુમાં જણાવ્યું કે મારી ફ્રેન્ડ પૂજા શર્માએ મારા ચહેરા પર કંઈક ગરબડ હોવાનું નોટીસ કર્યું હતું. તેણે મને આ અંગે ડોકટરની સલાહ લેવાનું પણ કહ્યું હતું. તે દિવસોમં પૂજા શર્મા ઐશ્વર્યા સખૂજાની ફ્લેટમેટ હતી. ત્યારબાદ તે ડોકટરને મળી હતી અને ડોકટરે તેને જણાવ્યું હતું કે, તેના ચહેરા પર પેરાલિસિસ થયું છે. ત્યારબાદ સ્ટિરોઈડ આપવામાં આવ્યા હતા. સ્ટિરોઈડથી માત્ર એક મહિનામાં જ તે સાજી થઈ ગઈ હતી.


