મુંબઈ
સાયરસ મિસ્ત્રી અકસ્માત મામલે મર્સિડિઝ બેન્ઝ કંપની અને આરટીઓ વિભાગે પ્રાથમિક રિપોર્ટ પોલીસને સોંપ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, મર્સિડિઝ બેન્ઝ કંપની અને આરટીઓએ પ્રાથમિક રિપોર્ટ પોલીસને સોંપ્યો છે. મર્સિડિઝ બેન્ઝ કંપનીએ રિપોર્ટમાં જણાવ્યું છે કે, જ્યારે ગાડીનો અકસ્માત થયો તેની ૫ સેકન્ડ પહેલાં કારની સ્પીડ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાક હતી અને અનાહિતાએ જ્યારે બ્રેક મારી ત્યારે ગાડીની સ્પીડ ૧૧ કિલોમીટર પ્રતિ કલાક ઘટીને ૮૯ કિલોમીટર પ્રતિ કલાકે પહોંચી ગઈ હતી. પોલીસે કંપનીને સવાલ કર્યો હતો કે, શું જ્યારે અનાહિતાએ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પર બ્રેક મારી હતી ત્યારે તેની પહેલાં પણ અનાહિતાએ બ્રેક મારી હતી કે શું? એટલે કે ગાડીની સ્પીડ જ્યારે ૧૦૦ કિલોમીટર હતી તો શું તેના પહેલાં અનાહિતાએ બ્રેક મારી હતી, જેને લીધે ગાડીની સ્પીડ ૧૦૦ કિલોમીટર પર આવી ગઈ હતી? પોલીસે એ જાણવા માગે છે કે, અનાહિતાએ અકસ્માત પહેલાં કેટલીવાર બ્રેક મારી હતી. મર્સિડિઝ બેન્ઝે પોતાના રિપોર્ટમાં અત્યાર સુધી અકસ્માતના ૫ સેકન્ડ પહેલાં એકવાર બ્રેક મારવાની વાત કરી હતી. આગળની જાણકારી મેળવવા માટે મર્સિડિઝ કંપની ૧૨ સપ્ટેમ્બરે અકસ્માતવાળી કારને થાણાના શોરૂમમાં લાવશે. ત્યાં હોંગકોંગથી મર્સિડિઝ બેન્ઝની એક ટીમ આવીને ગાડીનું પરિક્ષણ કરશે અને ડિટેઇલમાં રિપોર્ટ બનાવશે. હોંગકોંગથી આવનારી ટીમે વિઝા માટે એપ્લાઇ કરી દીધું છે. જાે આગામી ૪૮ કલાકમાં વિઝા નહીં આવે તો ઇન્ડિયાથી મર્સિડિઝ બેન્ઝની ટીમ આ ગાડીના પરીક્ષણ માટે ડિટેઇલ રિપોર્ટ બનાવશે. આરટીઓએ તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, જ્યારે અકસ્માત થયો ત્યારે ગાડીમાં ચાર એરબેગ ખૂલેલી હતી. જ્યારે અકસ્માત થયો ત્યારે આગળની સીટના બંને એરબેગ ખૂલેલા હતા. એક એરબેગ ડ્રાઇવિંગ સીટની પાસે ડ્રાઇવરના ઘૂંટણ પાસે હોય છે તે ખૂલી ગઈ હતી અને બીજી ડ્રાઇવરના માથાના ભાગ તરફ એરબેગ હોય છે, તેને કર્ટન એરબેગ કહેવામાં આવે છે તે પણ ખૂલેલી હતી.


