ટોક્યો
જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંઝો આબેના રાજકીય અંતિમ સંસ્કાર ટોક્યોના નિપ્પોન બુડોકન કમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવ્યા છે. જેમાં પ્રધાનમંત્રી મોદી સહિત ૭૦૦થી વધુ વર્લ્ડ લીડર હાજર છે. આબે (૬૭) ની આઠ જુલાઈએ ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી, જ્યારે તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. ભારતે આબેના સન્માનમાં ૯ જુલાઈએ એક દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો હતો. પરંપરાગત રીતે શિંઝો આબેના અંતિમ સંસ્કાર ૧૫ જુલાઈએ કરી દેવામાં આવ્યા હતા. આજે થયેલા રાજકીય અંતિમ સંસ્કારનો વિરોધ જાપાનના લોકો કરી રહ્યાં છે. નિપ્પોન બુડોકન બહાર લોકો પ્રદર્શન કરી રહ્યાં છે. જાપાનમાં શાહી પરિવાર અને પ્રધાનમંત્રીઓના અંતિમ સંસ્કાર સામાન્ય રીતે સરકારી ખર્ચ પર થતા નથી. અંતિમ સંસ્કાર પરિવારના લોકો કરે છે. પરંતુ આબેના રાજકીય અંતિમ સંસ્કાર સરકાર કરી રહી છે. આ પ્રતીકાત્મક રાજકીય અંતિમ સંસ્કાર પર આશરે ૯૭ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ કારણે જનતા અને વિપક્ષ વિરોધ કરી રહ્યાં છે અને તેને પૈસાની બરબાદી ગણાવી રહ્યાં છે. નોંધનીય છે કે જાપાનમાં બીજીવાર કોઈ પ્રધાનમંત્રીના રાજકીય અંતિમ સંસ્કાર થઈ રહ્યાં છે. આ પહેલા ૧૯૬૭માં શિગેરૂ યોશિદા માટે રાજકીય અંતિમ સંસ્કાર થયા હતા. આ પહેલા પીએમ મોદીએ જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશના સંબંધને વધુ મજબૂત બનાવવાની ચર્ચા થઈ હતી. પીએમ મોદી રાજકીય અંતિમ સંસ્કારમાં લામેલ થવા માટે ૨૬ સપ્ટેમ્બરે રાત્રે ટોક્યો પહોંચ્યા હતા. પીએમ મોદીએ એક ટ્વીટમાં કહ્યુ હતું, ‘મારા પ્રિય મિત્રોમાં સામેલ શિંઝો આબેના દુખન નિધનથી હેરાન અને દુખી છું અને તેને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દ નથી. તે એક સર્વોચ્ચ વૈશ્વિક રાજનેતા, એક ઉત્કૃષ્ટ નેતા અને એક અદ્ભુત પ્રશાસક હતા.’ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શિંઝો આબેની મિત્રતા જગજાહેર હતી. શિંઝો આબેના નિધનથી પીએમ મોદીને દુખ પહોંચ્યું હતું. તેમણે તેનો ઉલ્લેખ એક બ્લોગમાં પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ લખ્યું હતું- આજે તેમની સાથે પસાર કરેલી દરેક ક્ષણ મને યાદ આવી રહી છે. તોઝી ટેમ્પલની યાત્રા હોય, શિંકાસેનમાં સાથે-સાથે સફરનો આનંદ હોય, અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત હોય, કાશીમાં ગંગા આરતીનો આધ્યાત્મિક અવસર હોય કે પછી ટોક્યોની ટી સેરેમની. યાદગાર ક્ષણોનું લિસ્ટ ખુબ લાંબુ છે.


