India

રાજ્યના ખેડૂતોને સુક્ષ્મ સિંચાઈ યોજના થકી ઓછા ખર્ચે મબલખ પાક મળી રહે તે માટે રાજ્ય સરકાર વિશેષ ધ્યાન આપી રહી છેઃ મંત્રી ઋષિકેશ પટેલ

“પર ડ્રોપ મોર ક્રોપ” હેઠળ છેલ્લા બે વર્ષમાં કચ્છમાં ૧૧,૯૦૭ હેક્ટર વિસ્તારને આવરી લઈ કુલ ૬૨૯૧ ખેડૂતોને અને દાહોદમાં ૧૦૬૭ હેક્ટર વિસ્તારને આવરી લઈ ૮૯૯ ખેડૂતોને લાભ આપવામાં આવ્યો

(જી.એન.એસ), તા.૦૩
“પર ડ્રોપ મોર ક્રોપ” અંતર્ગત ખેડૂતોને થતા લાભ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને સુક્ષ્મ સિંચાઈ યોજના થકી ઓછા ખર્ચે મબલખ પાક મળી રહે અને ખેડૂતોની આવક બમણી થાય તે માટે રાજ્ય સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે “પર ડ્રોપ મોર ક્રોપ”-સુક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ રાજ્યભરના ખેડૂતોને આવરી લઈ તેમને લાભાન્વિત કરવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે તેમ કહી મંત્રીએ આ યોજના અંગે સહાય અને પાત્રતાના ધોરણો સહિતની વિસ્તૃત વિગતો આપી હતી.

કચ્છ અને દાહોદ જિલ્લામાં ૩૧ ડીસેમ્બર-૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન “પર ડ્રોપ મોર ક્રોપ” અંતર્ગત થયેલી કામગીરી અંગે ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, કચ્છ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં “પર ડ્રોપ મોર ક્રોપ”- સુક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ કુલ ૧૧,૯૦૭ હેક્ટર વિસ્તારને આવરી લઈ કુલ ૬૨૯૧ ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે. તેવીજ રીતે દાહોદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં “પર ડ્રોપ મોર ક્રોપ”- સુક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ કુલ ૧૦૬૭ હેક્ટર વિસ્તારને આવરી લઈ કુલ ૮૯૯ ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *