નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટે મંગળવારે કથિત ગુનેગાર સુકેશ ચંદ્રશેખરને અહીંની મંડોલી જેલમાં તેના વકીલોને મળવા માટે સમય વધારવાની અરજી કરવા બદલ ઠપકો આપ્યો હતો. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેંચે કહ્યું કે, નિયમો અનુસાર ચંદ્રશેખરને એપોઇન્ટમેન્ટ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કટાક્ષ કરતાં કહ્યું કે, “તમે વકીલોના નામ આપો, અમે જેલ સત્તાવાળાઓને કહીશું કે, તમારા વકીલોને જેલમાં રહેવા દે. આ કોર્ટમાં તમે કેવા પ્રકારના નિવેદનો આપી રહ્યા છો? તમારે જેલમાં વિશેષાધિકારો જાેઈએ છે.?” ચંદ્રશેખર તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે, તેમના અસીલ સામે છ શહેરોમાં ૨૮ કેસ પેન્ડિંગ છે અને તેમાં ૧૦થી વધુ વકીલો સામેલ છે. ચંદ્રશેખરના વકીલે કહ્યું કે, જેલના નિયમો પ્રમાણે વકીલોને મળવા માટે અઠવાડિયામાં માત્ર ૩૦ મિનિટનો સમય આપવામાં આવે છે, જે પૂરતો નથી. તેણે કહ્યું કે તેના ક્લાયન્ટના અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.આ પછી, સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું, “એમાં કોઈ વિવાદ નથી કે, અરજદારને જેલના નિયમો અનુસાર મીટિંગનો સમય આપવામાં આવ્યો છે. તમે જે વિનંતી કરી રહ્યા છો તે અસાધારણ રાહત છે જેને મંજૂરી આપી શકાતી નથી. જેલના નિયમો અનુસાર, કેદીને અઠવાડિયામાં બે વાર તેના સંબંધીઓ અથવા મિત્રોને મળવા માટે અડધો કલાક આપવામાં આવે છે. ચંદ્રશેખર અને તેની પત્ની મની લોન્ડરિંગ અને ઘણા લોકોને છેતરવાના આરોપમાં જેલમાં છે.


