આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ વડોદરા ખાતે જનતા સમક્ષ એક હેલ્પલાઇન સેવાની શરૂઆત કરી હતી. વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વડોદરાની જનતા માટે 7043393334 નંબરની હેલ્પલાઇન સેવાનો શુભારંભ કર્યો હતો. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, વડોદરાના વિવિધ વિસ્તારમાં સમસ્યાઓ તથા ભ્રષ્ટાચાર ખૂબ જ વધી રહ્યો છે. લોકો અવાર નવાર હેરાન થતા હોય છે અને તંત્ર દ્વારા તેમની સમસ્યાઓની ક્યારેય પણ સાંભળવામાં આવતી નથી. તો હવે લોકો આ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરીને આમ આદમી પાર્ટીને પોતાની સમસ્યાઓ જણાવી શકે છે અને આમ આદમી પાર્ટી લોકોને મદદરૂપ થવાની પૂરેપૂરી કોશિશ કરશે.
આપણે વારંવાર જોઈએ છે કે ચોમાસુ આવતાની સાથે ગુજરાતના બાકી શહેરોની સાથે સાથે વડોદરામાં પણ લોકોને અસહ્ય હાલાકી ભોગવવી પડતી હોય છે. ભ્રષ્ટાચારના કારણે કેટલીય જગ્યા ઉપર ભુવા પડતા હોય છે, રોડ તૂટી જતા હોય છે અને તેના કારણે ઘણીવાર લોકોને શારીરિક ઈજા પણ પહોંચતી હોય છે. આ બધી વસ્તુ પાછળ ભાજપનું ભ્રષ્ટાચારી તંત્ર જવાબદાર છે, પરંતુ તે ક્યારેય જનતાની વાત સાંભળતું નથી. એટલા માટે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે અમે પોતે જનતાની સમસ્યાઓને સાંભળીશું અને તે સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશું.
આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની સાથે સાથે પ્રદેશ એસસી સેલના પ્રમુખ જગદીશભાઈ ચાવડા, પ્રદેશ પ્રવક્તા એડવોકેટ શીતલબેન ઉપાધ્યાય, વડોદરા લોકસભા પ્રમુખ વિરેનભાઈ રામી, વડોદરા શહેર પ્રમુખ અશોકભાઈ ઓઝા હાજર રહ્યા હતા.


