ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના સાંસદ સંજયસિંહની અરજીને પ્રાયોરિટીમાં સાંભળવા હાઇકોર્ટે કર્યો ઇન્કાર છે. આ કેસની તત્કાલ સુનાવણી જરૂરી નહીં હોવાની આ પહેલા પણ હાઈકોર્ટે ટકોર કરી હતી. અરજદાર દ્વારા સાંસદો અને ધારાસભ્યોના કેસ ઝડપથી ચલાવવા સુપ્રીમ કોર્ટના નિર્દેશો હોવાની બાબત હાઇકોર્ટના ધ્યાને મુકાઈ હતી. જે અંગે હાઇકોર્ટે અવલોકન કરતા કહ્યું કે, એ નિર્દેશોને ધ્યાનમાં લઈને જ કેસમાં ટૂંકી મુદતની તારીખ અપાઈ રહી છે. ટ્રાયલ કોર્ટે ઈસ્યું કરેલા સમન્સને રદ કરવા અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની માંગણી છે. જાે કે હવે આગામી ૬ ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરાશે.
પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી બાબતે યુનિવર્સિટી વિરુદ્ધ બદનક્ષી ભર્યા નિવેદનો આપવાનો કેજરીવાલ અને સંજય સિંહ પર આરોપ લાગ્યો હતો. જે પછી દિલ્હી સીએમ અને આપના સાંસદ તરફથી કેસની તત્કાલ સુનાવણી મુદ્દે કોર્ટમાં થાય તેવી માગણી કરવામાં આવી હતી. જાે કે હાઇકોર્ટે તેને ફગાવી દીધી છે. અગાઉ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા સાંસદ સંજય સિંહ સામે થયેલા બદનક્ષી કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ દ્વારા અમદાવાદ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. જાે કે અમદાવાદ સેશન્સ કોર્ટે કેજરીવાલની રિવિઝનલ અરજી ફગાવી દીધી હતી.

