એશિયા કપમાં રવિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ મેચ રમનારી છે ત્યારે શ્રીલંકન સ્પિનર મહિશા થિક્ષાણાનું તેમાં રમવું શંકાસ્પદ બની ગયું છે કેમ કે તેને હેમસ્ટ્રિંગ ઇજા થઈ છે અને હાલમાં તેના રિપોર્ટની રાહ જાેવાઈ રહી છે. ગુરુવારે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે અત્યંત રોમાંચક મેચ રમાઈ હતી જે દરમિયાન થિક્ષાણાના પગના સ્નાયુઓ ખેંચાઈ ગયા હતા. તે વખતે તે ફિલ્ડિંગ કરી રહ્યો હતો. આમ શ્રીલંકાને તેની ગેરહાજરીનો મોટો ફટકો પડી શકે તેમ છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડે શુક્રવારે જ એક પોસ્ટ કરી હતી જેમાં જણાવાયું હતું કે મહિશા થિક્ષાણાના જમણા પગના સ્નાયુઓ ખેંચાઈ ગયા છે.
તેનો સ્કેન કરાશે અને ત્યાર બાદ તે ફાઇનલમાં રમી શકશે કે કેમ તે અંગેનો અંતિમ ર્નિણય લેવાશે. શુક્રવારે તેનો સ્કેન થનારો હતો. પાકિસ્તાન સામેની મેચ દરમિયાન થિક્ષાણાને વારંવાર મેદાન બહાર જવું પડ્યું હતું. તેની સમસ્યા દેખાઈ આવતી હતી તેમ છતાં અંતે તેણે આ ૪૨ ઓવરની મેચમાં પોતાનો નવ ઓવરનો સ્પેલ પૂરો કર્યો હતો. અંતે ૩૯મી ઓવરમાં તેને સ્થાને એક્સ્ટ્રા ફિલ્ડરને મોકલવામાં આવ્યો હતો. વર્તમાન એશિયા કપમાં શ્રીલંકા સતત ઇજાની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.
ટુર્નામેન્ટનો પ્રારંભ થયો તે અગાઉ વાણીન્દુ હસારંગા, ચમીરા, લાહિરુ મદુશંકા અને લાહિરુ કુમારા જેવા ખેલાડી ઘાયલ થતાં શ્રીલંકા તેમના વિના રમી રહ્યું છે. હવે ભારત સામેની અત્યંત મહત્વની ફાઇનલ મેચ અગાઉ થિક્ષાણા ઘાયલ થયો છે.

