અમદાવાદ
કેન્દ્ર સરકારે સહકારી સંસ્થાઓ નાફેડ અને નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશનને આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી ટામેટાં ખરીદવાનો નિર્દેશ આપ્યો છે. સામાન્ય લોકોને રાહત આપવા માટે કેન્દ્રો પરથી ઓછા ભાવ સાથે ટામેટાંનું વિતરણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં ટામેટાંના છૂટક ભાવમાં ઝડપથી વધારો થયો છે.એક નિવેદનમાં, ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે ૧૪ જુલાઈથી, ટામેટાં દિલ્હી-એનસીઆરમાં ગ્રાહકોને છૂટક આઉટલેટ્સ દ્વારા ઓછા દરે વેચવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં ટામેટાના ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે.જેના પગલે કેન્દ્ર સરકારે આ સંસ્થાઓને મહારાષ્ટ્રથી ટામેટાંની ખરીદી કરીને માર્કેટમાં ઠાલવવા માટે પણ નિર્દેશ કર્યો છે . જેના લીધે આગામી દિવસોમાં ટામેટાંના ભાવમાં ઘટાડો થઈ શકે છે.હાલમાં રાજ્યમાં ટામેટાંનો જથ્થાબંધ ભાવ ૧૪૦ રૂપિયાની આસપાસ છે. જયારે છૂટક ભાવ ૨૦૦ રૂપિયા સુધી પહોંચ્યો છે. ભારે વરસાદને કારણે પુરવઠો ખોરવાને કારણે દેશના ઘણા ભાગોમાં ટામેટાંના છૂટક ભાવ ૨૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન અને નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશન ટામેટાં ખરીદશે.મંત્રાલયના જણાવ્યા અનુસાર, ટામેટાંને એવા સ્થળોએ ઓછા ભાવે વહેંચવામાં આવશે જ્યાં છેલ્લા એક મહિનામાં રિટેલ કિંમતો રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે. મંત્રાલયે કહ્યું કે જ્યાં ટામેટાંનો વપરાશ વધુ છે તે સ્થાનોને વિતરણ માટે પ્રાથમિકતા આપવામાં આવશે.મંત્રાલયે એમ પણ કહ્યું કે સામાન્ય રીતે જુલાઈ-ઓગસ્ટ અને ઓક્ટોબર-નવેમ્બરમાં ટામેટાંનું ઉત્પાદન ઓછું હોય છે. આ ઉપરાંત જુલાઈમાં ચોમાસાના કારણે ટ્રાફિક સંબંધિત અવરોધોને કારણે પણ ભાવમાં વધારો થયો છે.દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં આવતા લોકો મુખ્યત્વે હિમાચલ પ્રદેશમાંથી આવે છે. આ સિવાય દક્ષિણના રાજ્યો ટામેટાના ઉત્પાદનમાં અગ્રેસર છે. મંત્રાલયે કહ્યું કે નાશિક જિલ્લામાંથી નવો પાક ટૂંક સમયમાં આવવાની ધારણા છે.


