સંસદ સભ્યશ્રી ડો.કીરીટ સોલંકીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ વિસાવદર તાલુકાના સરસઇ ગામના વિકાસ કરવા માટે સરસઇ ગામની મુલાકાત લીધી હતી અને ગામના સંતશ્રી રોહિદાસજીના આશ્રમ ખાતે જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં સરસઇ ગામના વિકાસમાં જે કોઇ કામ કરવા પાત્ર હોય તે કામોને અગ્રતા આપવા સૂચના આપવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે માધ્યમિક તથા પ્રાથમિક શાળામાં નવા ઓરડા, પેવર બ્લોક તથા શેડનું કામ, સંતશ્રી રોહિતદાસજીના નામનો કોમ્યુનીટી હોલ, આંગણવાડીના કામો, અલગ-અલગ શેરીઓમાં સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણીની પાઇપ લાઇન, સીસી રોડ, પેવર બ્લોક, ભૂગર્ભ ગટર, કચરા પેટીઓ, બોર બનાવવાનું કામ, એક લાઇબ્રેરીનું કામ તથા સંતશ્રી રોહિદાસજી આશ્રમમાં ખુટતી સુવિધાઓ પુરી કરવાનું કામ પેટા આરોગ્ય કેન્દ્ર, ગામમાં પ્રવેશદ્વાર બનાવવાનું કામ, પંચાયત ઘર પર સોલારનું કામ જેવા કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, અધિક્ષક ઇજનેર પીજીવીસીએલ, પશુપાલન અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, માર્ગ અને મકાન કાર્યપાલક ઇજનેર, પાણી પુરવઠા બોર્ડ તથા તાલુકા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
