Gujarat

બાંગ્લાદેશના સાંસદ અનવારુલ કોલકાતાના એક ફ્‌લેટમાં મૃત હાલતમાં મળ્યા

ભારતમાં ૮ દિવસથી ગુમ થયેલા બાંગ્લાદેશના સાંસદ અનવારુલ અઝીમ અનાર બુધવારે (૨૨ મે) કોલકાતાના એક ફ્‌લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. બાંગ્લાદેશના ગૃહ પ્રધાન અસદુઝમાં ખાને કોલકાતા પોલીસને ટાંકીને આ વાતની પુષ્ટિ કરી છે. કોલકાતા પોલીસે જણાવ્યું હતું કે સાંસદ અનવારુલનો મૃતદેહ ન્યૂટાઈન વિસ્તારમાંથી શંકાસ્પદ સ્થિતિમાં મળી આવ્યો હતો. પોલીસે આ કેસમાં ૩ બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ ઘટના ને એક પ્રી-પ્લાન હત્યા જણાવી રહી છે.

બાંગ્લાદેશના સાંસદ અનવારૂલ પોતાની સારવાર માટે કોલકાતા આવ્યા હતા, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સાંસદ અનવારૂલ ૧૨ મેના રોજ સારવાર માટે કોલકાતા આવ્યા હતા. બીજા દિવસે તેઓ ગુમ થયા હતા. અઝીમનો ફોન પણ ૧૩ મેથી સ્વીચ ઓફ આવતો હતો. આ પછી, ૧૭ મેના રોજ, બિહારના કેટલાક વિસ્તારમાં તેમનો ફોન થોડો સમય માટે સ્વિચ ઓન થયો હતો. પોલીસનું કહેવું છે કે તેમના ફોન પરથી તેમના પરિવારના સભ્યોને સંદેશો મોકલવામાં આવ્યો હતો કે તેઓ નવી દિલ્હી જવા રવાના થયા છે.

આ ઘટના બાબતે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અનવરુલ ૧૨ મેના રોજ સાંજે લગભગ ૭ વાગે કોલકાતામાં તેના પરિવારના મિત્ર ગોપાલ બિશ્વાસને મળવા ગયા હતા. બીજા દિવસે બપોરે ૧.૪૧ કલાકે તેઓ ડોક્ટરને મળવાનું કહીને ત્યાંથી નીકળ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ સાંજે પરત આવી જશે. અનવારુલે બિધાન પાર્કમાં કલકત્તા પબ્લિક સ્કૂલની સામેથી ટેક્સી લીધી હતી. સાંજે તેણે ગોપાલને વોટ્‌સએપ મેસેજ મોકલીને જાણ કરી કે તેઓ દિલ્હી જઈ રહ્યા છે. આ કારણે તેનું લોકેશન મળી શક્યું નથી.

કોલકાતા પોલીસે અઝીમના મિત્રના ઘરે તપાસ શરૂ કરી છે. તેઓ રહેણાંક સંકુલમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી રહ્યા છે. તેઓ એવા લોકોની ઓળખ પણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે જેઓ તે ફ્‌લેટમાં વારંવાર આવતા હતા. બાંગ્લાદેશી એમ્બેસી પણ પોલીસના સતત સંપર્કમાં છે. બાંગ્લાદેશ સરકારે સમગ્ર મામલે રિપોર્ટ માંગ્યો છે.