2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભાજપની સરકાર બન્યા બાદ 2014માં જ ગુજરાતના સિનિયર મંત્રી વજુભાઇ વાળાને કર્ણાટકના રાજ્યપાલ બનાવ્યા હતા.
બાદમાં 2018માં ગુજરાતના બીજા સિનિયર આગેવાન અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્યપ્રદેશનાં રાજ્યપાલ બનાવ્યાં હતાં.
પછી 2019માં આનંદીબેન પટેલને જ ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ બનાવાયાં હતાં. 2021માં ગુજરાતના જ મંગુભાઇ પટેલને મધ્યપ્રદેશના ગવર્નર બનાવાયા હતા.
આમ નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાતના ત્રણ નેતાઓને રાજ્યપાલ પદ મળ્યું હતું. જેમાંથી બે નેતાઓના રાજ્યપાલનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે.
ત્યારે ગુજરાતના વધુ બે નેતાને રાજ્યપાલ બનવાની તક મળી શકે છે. જેમાં વિજય રૂપાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, નીતિન પટેલના નામ મોખરે છે. 29 જુલાઈએ આનંદીબેનનો રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.
ગુજરાતમાં નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી સંપૂર્ણ રીતે પરિચિત હોય છે. સાથે સાથે મોદી પણ ગુજરાતના નેતાઓની રાજકીય કુનેહથી વાકેફ હોવાથી કામગીરીમાં સરળતા પડે છે.
જેથી ફરી એકવાર ગુજરાતના નેતાઓને રાજ્યપાલ બનાવે તો નવાઈ નહીં. આનંદીબેન પટેલ અને વજુભાઇ જેવા સિનિયર આગેવાનોની રાજ્યપાલ તરીકેની કામગીરી પણ સરળતાથી પૂરી થઈ હોવાથી નરેન્દ્ર મોદીની સરકાર બીજા પણ ગુજરાતના નેતાઓને તક આપશે.