Gujarat

નગરપાલિકાથી સંતરામ મંદિર સુધી રેલી, MGVCLના 400થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, નડિયાદ દ્વારા ડિસેમ્બર મહિનો ઊર્જા બચત મહિના તરીકે ઉજવાય છે. તે નિમિત્તે 10 ડિસેમ્બરના રોજ નડિયાદ નગરપાલિકા પ્રાંગણથી સરદાર પટેલ સ્ટેચ્યુ થઈ સંતરામ મંદિર સુધી “Energy Conservation Day” રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બસ સ્ટેશન સ્થિત સરદાર સાહેબની પ્રતિમાને સુતરની આંટી પેહરવવામાં આવી હતી. અધિક્ષક ઈજનેર ટી.સી.વ્યાસે, રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.

નડિયાદ વર્તુળ કચેરી અંતર્ગત આવેલ વિભાગીય કચેરીઓ તથા પેટા વિભાગીય કચેરીઓના 400 જેટલા અધિકારીઓ, કર્મચારીઓ આ રેલીમાં જોડાઈને ઉર્જા બચાવવા માટે, વીજ વપરાશ નિયંત્રીત કરવા તથા સૌર ઊર્જાના ઉપયોગ, પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના તથા સોલર રૂફ-ટોપ ના ટેબ્લો દ્વારા વીજ બચત કરી જાહેર જનતાને ઉર્જા બચાવોનો સંદેશો પાઠવવામાં આવ્યો. રેલી અંતર્ગત વીજ ગ્રાહકોના વીજ ફોલ્ટના સમારકામ માટે FRT (Fault Rectification Team) વિશે અને સ્માર્ટ મીટર માટે વિસ્તૃત જાણકારી/સમજ આપવામાં આવી તથા પ્લે-કાર્ડ, બેનર પણ પ્રદર્શિત કરવામાં આવ્યા.

આ પ્રસંગે રેલીના સમાપન સમયે અધિક્ષક ઈજનેર નડિયાદ વર્તુળ કચેરી તથા કાર્યપાલક ઇજનેર નડિયાદ શહેર વિભાગીય કચેરી અને કાર્યપાલક ઇજનેર મહેમદાબાદ વિભાગીય કચેરી દ્વારા “Energy Conservation Day” વિષે વિસ્તૃત સમજણ આપેલ હતી અને “સૌર ઉર્જા એ જ ઉર્જા બચત નો શ્રેષ્ઠ વિકલ્પ છે ” તેમ જણાવી “Energy Conservation Day” વિષે વિસ્તૃત માહિતી આપી હતી. આ રેલીમાં ટી. સી. વ્યાસ, અધિક્ષક ઈજનેર, નડિયાદ વર્તુળ કચેરી તથા કે . એમ. શાહ, કાર્યપાલક ઇજનેર નડિયાદ શહેર વિભાગીય કચેરી, ટી. જે. શાહ, કાર્યપાલક ઇજનેર મહેમદાબાદ વિભાગીય કચેરી, વગેરે કચેરીઓના અધિકારીઓ,કર્મચારીઓ જોડાયા હતા.