Gujarat

શિવરાજ સિંહ ચૌહાણની રાષ્ટ્રીય રાજનીતિમાં થશે ભવ્ય એન્ટ્રી, વડાપ્રધાન મોદીએ આપ્યા સંકેત

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સિનિયર નેતા શિવરાજ સિંહ ચૌહાણની રાષ્ટ્રીય રાજનીતિમાં ભવ્ય એન્ટ્રી થવા જઈ રહી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતેજ આપ્યા સંકેતો, પીએમના આ નિવેદન બાદ મધ્યપ્રદેશ ના રાજકારણમાં પણ ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.

મધ્યપ્રદેશના હરદામાં એક રેલીને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ શિવરાજ સિંહ ચૌહાણના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે પાર્ટી સંગઠનમાં હોય કે મુખ્યમંત્રી રહીને અમે સાથે મળીને કામ કર્યું છે. પીએમ મોદીએ રેલીમાં કહ્યું, “જ્યારે શિવરાજ સંસદમાં ગયા ત્યારે હું પાર્ટીના મહાસચિવ તરીકે તેમની સાથે કામ કરતો હતો. હવે હું તેમને ફરી એકવાર મારી સાથે દિલ્હી લઈ જવા માંગુ છું.”

શિવરાજ સિંહ ચૌહાણ વિદિશાથી છઠ્ઠી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠકનું પ્રતિનિધિત્વ દિવંગત અટલ બિહારી વાજપેયી (૧૯૯૧) અને સુષ્મા સ્વરાજ (૧૯૯૧, ૨૦૦૯ અને ૨૦૧૪) જેવા દિગ્ગજ ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું છે. રામનાથ ગોએન્કા ૧૯૭૧માં આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.

તેમના નામની જાહેરાત બાદ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે આ સીટ તેમને વાજપેયીએ સોંપી હતી અને ખુશીની વાત છે કે તેમને ૨૦ વર્ષ બાદ ફરીથી પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળી રહ્યો છે. ચૌહાણે કહ્યું હતું કે, ભાજપ મારી માતા છે, જેણે મને બધું આપ્યું છે.