Gujarat

મણિપુરમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહના સુરક્ષા કાફલા પર આતંકી હુમલો, ૨ જવાન ઘાયલ

હિંસાગ્રસ્ત મણિપુરમાં હવે ત્યાંનાં મુખ્યમંત્રી પણ અસલામત બન્યાં છે. આતંકવાદીઓ દ્વારા મુખ્યમંત્રી એન બિરેન સિંહના સુરક્ષા કાફલા પર હુમલો આત્મઘાતી કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ તેમના કાફલા પર ધડાધડ ગોળીબાર કર્યો હતો એક સિક્યુરીટી જવાન ઘાયલ થયાં હતા. સદનસીબે સીએમનો આબાદ બચાવ થયો હતો.

સીએમ એન બિરેન સિંહનો સુરક્ષા કાફલો મણિપુરના હિંસાગ્રસ્ત જીરીબામ જિલ્લામાં જઈ રહ્યો હતો, પરંતુ તે દરમિયાન અચાનક આતંકવાદીઓએ ફાયરિંગ શરુ કરી દીધું હતું જોકે સુરક્ષા જવાનોએ પણ મોરચો સંભાળી લીધો હતો અને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ લખાઈ રહ્યું છે કે ત્યાં સુધી ફાયરિંગ ચાલું હતું.

મુખ્યમંત્રીના કાફલા પર હુમલાની ઉપરાંત આતંકવાદીઓએ જીરીબામમાં બે પોલીસ ચોકીઓ, વન વિભાગની ઓફિસ અને ૫૦ થી વધુ ઘરોને આગ ચાંપી દીધી હતી. આ પછી જીરીબામ જિલ્લામાં સ્થિતિ તંગ બની હતી અને તાબડતોબ વધારાના જવાનો તહૈનાત કરીને પરિસ્થિતિને કાબુમાં લાવવાનો પ્રયાસ કરાયો હતો. લમતાઈ ખુનૌ, દિબોંગ ખુનૌ, નુનખાલ અને બેગરા ગામમાં ૭૦ થી વધુ ઘરોને આગ લગાડવામાં આવી હતી.