ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિમાં લોકોમાં થોડો ડરનો માહોલ છે ત્યારે રાજકોટની બજારમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ શહેરની ઐતિહાસિક ગણાતી ધર્મેન્દ્ર રોડ પરની બજારમાં પહોંચી હતી.
જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓનું વેચાણ અહીંથી થાય છે એવામાં દાણાપીઠ બજાર કે જ્યાંથી અનાજ, કઠોળ, ખાંડ અને તેલ સહિતની ખરીદી થતી હોય છે ત્યાં કોઈ જ અસર હાલ નથી. અહીં 200 જેટલી દુકાનના વેપારીઓ પાસે પૂરતો સ્ટોક છે.
જ્યારે ટેક્સટાઇલ બજાર કે જ્યાં દર વર્ષે ઉનાળુ અને વેકેશનની સિઝનમાં ધમાકેદાર ખરીદી થતી હોય છે ત્યાં હાલ ખરીદીમાં 40 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. કાપડ અને રેડીમેઇડ કપડા સહિતની ખરીદી કરવા આવતા લોકો ઘટયા છે. અહીં 2000 જેટલી કપડાની દુકાન આવેલી છે.