જાહેર રોડ ઉપર કચરો ફેંકીને ગંદકી અને ન્યુસન્સ કરતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા લોકો તેમજ દુકાનદારો-એકમો વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરના પશ્વિમ વિસ્તારમાં એસપી રીંગ રોડ નજીક આવેલા ખાણીપીણી બજાર એવા અર્બન ચોકમાં દુકાનદારો દ્વારા કરવામાં આવેલી ગંદકીને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પાંચ જેટલી અલગ અલગ ખાણીપીણીની દુકાનોને ગંદકી બદલ સીલ કરી દેવામાં આવી હતી અને દરેકને 5000 રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે.
અર્બન ચોકની પાંચ દુકાનો સીલ મારી દેવાઈ શહેરના એસપી રીંગ રોડ પર આવેલા અને ખૂબ જાણીતા ફૂડપાર્ક એવા અર્બન ચોકના વેપારીઓ દ્વારા બાજુમાં આવેલા પ્લોટમાં ખાણીપીણીની ખરાબ ડીશો, ગ્લાસ તેમજ અન્ય કચરો નાખી અને ગંદકી ફેલાવવામાં આવી હતી. જાહેરમાં કચરો નાખીને ગંદકી ન કરવાની હોવા છતાં પણ અર્બન ચોકના વેપારીઓ દ્વારા કચરો ફેંકવામાં આવ્યો હતો.
ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ રાઉન્ડમાં નીકળ્યા હતા ત્યારે તેમણે પ્લોટમાં થયેલી ગંદકી જોઈ હતી. કચરા ઉપરથી જાણવા મળ્યું હતું કે, અર્બન ચોકના કેટલાક વેપારીઓએ આ કચરો નાખ્યો હતો. જેથી આ મામલે કડક કાર્યવાહીના ભાગરૂપે પાંચ જેટલા વેપારીઓએ કચરો નાખ્યો હોવાથી તેઓની દુકાનોને સીલ મારી દેવામાં આવી હતી.