જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના એક સભ્ય સામે ચેક રિટર્ન કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. કોર્ટે આરોપી નરેન્દ્ર રામકૃષ્ણ રાવલને 6 માસની જેલની સજા અને રૂ. 1,08,520નો દંડ ફટકાર્યો છે.
કેસની વિગતો મુજબ, આરોપીએ સોસાયટીમાંથી લોન લીધી હતી. લોન ભરપાઈ માટે આપેલો ચેક બેંકમાં જમા કરાવતા રિટર્ન થયો હતો. સોસાયટીએ કાયદેસરની નોટિસ આપવા છતાં આરોપીએ રકમ ચૂકવી ન હતી. આ પછી નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
કોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, ફરિયાદી પક્ષના પુરાવાઓ અને સોસાયટીના વકીલની દલીલો ધ્યાનમાં લીધી હતી. આરોપીને તકસીરવાન ઠેરવ્યા બાદ સજા ફટકારી છે. આરોપીની ગેરહાજરીને કારણે કોર્ટે વોરંટ પણ જારી કર્યું છે.
આ કેસમાં સોસાયટી તરફથી વકીલ મિતેષભાઈ એલ. પટેલ, મણીલાલ જી. કાલસરીયા, ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ. ધામેલીયા અને જયદીપસિંહ જાડેજાએ રજૂઆત કરી હતી.