ગાંધીધામ શહેરમાં એક ચકચારી હત્યાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. જૂની સુંદરપુરી વિસ્તારમાં આવેલી સમાજવાડી પાસે મધ્યરાત્રીના 2 વાગ્યે સામાન્ય બોલાચાલી બાદ ત્રણ શખ્સોએ એક યુવકની હત્યા કરી નાખી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યા મુજબ, રવિ નારણ માતંગ, કરણ નારણ માતંગ અને સુનિલ અભુ સંજોટ નામના ત્રણેય આરોપીઓએ 22 વર્ષીય ગોપાલ વેલજી પિંગોલ નામના યુવક સાથે થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાઈને તેના પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. આરોપીઓએ યુવકના શરીર પર ઉપરાછાપરી ઘા મારતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી.

ગંભીર હાલતમાં યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ શહેર એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે.
હાલ પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પીએસઆઈની આગેવાની હેઠળની ટીમ હત્યા પાછળના ચોક્કસ કારણની તપાસ કરી રહી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે.