આ વર્ષે રાજ્ય સહીત સમગ્ર સાબરકાંઠા જીલ્લામાં ઓછો વરસાદ વરસ્યો હોવાથી સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર ૨૫ થી ૩૦% જેટલો જ સરેરાશ વરસાદ થયો છે. આંકડાકીય દ્રષ્ટિએ વરસાદની ભારે ઘટ સર્જાતા સમગ્ર જિલ્લામાં પાણીની ભારે કટોકટી ઉભી થઈ છે અને ખેતી પર તેની સીધી માઠી અસર પડી રહી છે.
વરસાદ ખેંચાવાના કારણે સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવેતર કરાયેલા મુખ્ય પાકો જેવા કે મગફળી, સોયાબીન, કપાસ અને એરંડા સંપૂર્ણપણે સુકાઈ રહ્યા છે. પાક નિષ્ફળ જવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. દુષ્કાળ જેવા વાતાવરણ વચ્ચે ધરતીપુત્રો ભારે ચિંતાના વાદળો ઘેરાયેલા અનુભવી રહ્યા છે.
આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સાબરકાંઠા કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને એક વિગતવાર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. કિસાન સંઘે માંગ કરી છે કે, તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ગ્રામ્ય વિસ્તારોમાં પાકની સ્થિતિનો સ્થળ સર્વે કરવામાં આવે અને મુશ્કેલીમાં મુકાયેલા અસરગ્રસ્ત ખેડૂતોને જરૂરી રાહત તથા આર્થિક સહાય ચૂકવવામાં આવે.
તેમજ કિસાન સંઘે આવેદનપત્ર મારફતે સાબરકાંઠા જિલ્લાને સત્તાવાર રીતે ‘દુષ્કાળગ્રસ્ત’ જાહેર કરવાની અગત્યની માંગણી કરી છે. સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં તાત્કાલિક યોગ્ય ર્નિણયો લેવામાં આવે તેવી ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે.
સાથેજ મહત્વનું છે કે, કિસાન સંઘે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જાે આવનારા દિવસોમાં સરકાર કે જિલ્લા તંત્ર દ્વારા ખેડૂતોની આ વ્યાજબી માંગણીઓ અંગે કોઈ યોગ્ય અને સકારાત્મક ર્નિણય લેવામાં નહીં આવે, તો આગામી સમયમાં સમગ્ર જિલ્લામાં ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન આદરવામાં આવશે.

