વડોદરામાં એક વૃદ્ધની સારસંભાળ માટે રાખવામાં આવેલા કેરટેકર પર તેમના ATM કાર્ડનો દુરુપયોગ કરી રૂ.75 હજાર ઉપાડી લેવાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફરિયાદ મુજબ વૃદ્ધની તબિયત નાદુરસ્ત હોવાથી પરિવારજનોએ તેમની દેખરેખ માટે કેરટેકરને રાખ્યો હતો. દરમિયાન બેંક ખાતામાંથી ATM મારફતે અલગ-અલગ સમયે રોકડ ઉપાડવામાં આવી હોવાની વિગતો સામે આવતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.
કાકાના સારસંભાળ માટે કેરટેકર રાખ્યો હતો ફરિયાદી નિલેશકુમાર લક્ષ્મીકાંત શાહે જણાવ્યું હતું કે, તેમના કાકા અશ્વિનભાઈ કેશવલાલ શાહ વડોદરાના બાજવાડા, સમડીપોળના નાકા પાસેના મકાનમાં રહે છે. અશ્વિનભાઈની ઉંમર વધુ હોવા ઉપરાંત તેમની તબિયત પણ નાદુરસ્ત રહેતી હોવાથી તેમની સારસંભાળ માટે રાજેશ્વરસિંહ જયપ્રકાશ દરબાર નામના વ્યક્તિને કેરટેકર તરીકે રાખવામાં આવ્યો હતો.
ATMની મદદથી 75 હજાર ઉપાડી લીધા ફરિયાદ મુજબ, કેરટેકરને ફરિયાદીના વૃદ્ધ કાકાના ઘરે રાખવામાં આવ્યો હતો અને આશરે દોઢ મહિના જેટલો સમય તેણે તેમની નાઈટ શિફ્ટમાં નોકરી કરી હતી. ત્યારબાદ તબિયત સારી હોવાથી તેની નોકરી બંધ કરી દેવામાં આવી હતી. જોકે, બાદમાં બેંક ખાતાની તપાસ કરતાં અલગ અલગ તારીખોમાં ATM કાર્ડ મારફતે રૂ.15 હજાર અને રૂ.30 હજાર તથા રૂ.30 હજાર ઉપાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ રીતે કુલ રૂ.75 હજારની રકમ ATM મારફતે ઉપાડાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

