Gujarat

ગીર ગઢડાની પ્રાકૃતિક કેરીનું સીધું વેચાણ, ખેડૂતોને યોગ્ય ભાવ અને ગ્રાહકોને શુદ્ધ તેમજ આરોગ્યપ્રદ ફળ ઉપલબ્ધ

પાટણ શહેરના નાગરિકો માટે ખેડૂત તાલીમ કેન્દ્ર, પાટણ ખાતે “કેસર કેરી મહોત્સવ”નો પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં ગીર ગઢડાના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી તૈયાર કરાયેલી ગુણવત્તાસભર કેસર કેરીઓનું સીધું વેચાણ કરવામાં આવશે. આ મહોત્સવની મુખ્ય વિશેષતા એ છે કે અહીં વેચાતી કેરીઓને કોઈપણ પ્રકારના કાર્બાઈડ કે હાનિકારક રસાયણોથી પકવવામાં આવી નથી. કેરીઓને પરંપરાગત અને દેશી પદ્ધતિથી કુદરતી રીતે પાકવવામાં આવી હોવાથી તેના સ્વાદ, સુગંધ અને ગુણવત્તામાં વિશેષતા જોવા મળશે.

પ્રાકૃતિક ખેતી પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુસર આ મહોત્સવનું આયોજન કરાયું છે. આનાથી ગ્રાહકોને સીધા ખેડૂતો પાસેથી કેરી ખરીદવાની તક મળશે, જેના કારણે ખેડૂતોને યોગ્ય ભાવ અને ગ્રાહકોને શુદ્ધ તેમજ આરોગ્યપ્રદ ફળ ઉપલબ્ધ થશે. પાટણ શહેરના નાગરિકોને આ કેસર કેરી મહોત્સવની મુલાકાત લઈ ગીરની પ્રસિદ્ધ કેસર કેરીનો સ્વાદ માણવા તથા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.