રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી 23 સપ્ટેમ્બરે વડોદરા શહેર અને પાદરાની મુલાકાતે આવી રહ્યા હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત અને વ્યાપક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સવારે 11:40 કલાકે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી છાત્રોને પદવી એનાયત કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ બપોરે 3:45 કલાકે પાદરા ખાતે તાજપુરા રોડ ઉપર આયોજિત બ્રહ્મકુમારીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.
કલેક્ટરે કાર્યક્રમના સ્થળનું નિરીક્ષણ કર્યું રાષ્ટ્રપતિની પાદરા મુલાકાતની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડૉ.અનિલ ધામેલિયા તથા પ્રાંત અધિકારી ઐશ્વર્યા દૂબેએ પાદરાની મુલાકાત લઇ કાર્યક્રમના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેને સંબંધિત અધિકારીઓ સાથે સ્થળ પર ઉપલબ્ધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી તેમજ જરૂરી કામગીરી સમયસર પૂર્ણ કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
રાષ્ટ્રપતિ મુલાકાત દરમિયાન તમામ વ્યવસ્થાઓ સુચારૂ રીતે જળવાઈ રહે અને કાર્યક્રમો નિર્ધારિત સમય મુજબ સફળતાપૂર્વક યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંકલિત કામગીરી હાથ ધરવામાં આવી છે. રાષ્ટ્રપતિના આગમનને અનુલક્ષીને પ્રોટોકોલ, સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા તથા અન્ય જરૂરી બાબતો અંગે સંબંધિત તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

