રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં જામનગર તાલુકાના હડમતિયા ક્લસ્ટર હેઠળની પસાયા તાલુકા શાળા, બેરાજા પ્રાથમિક શાળા તથા સપડા સરકારી માધ્યમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-1 અને ધોરણ-9માં પ્રવેશ મેળવનાર કુલ 135 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં આવકારવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં પસાયા તાલુકા શાળા, બેરાજા પ્રાથમિક શાળા, સપડા પ્રાથમિક શાળા તથા સપડા હાઈસ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું મંત્રી સહિતના મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની વિગતો આપતા, પસાયા તાલુકા શાળા ખાતે આંગણવાડીના 7, બાલવાટિકાના 24 અને ધોરણ-1ના 12 એમ કુલ 44 વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. બેરાજા પ્રાથમિક શાળામાં આંગણવાડીના 5, બાલવાટિકાના 21 અને ધોરણ-1ના 21 એમ કુલ 47 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. જ્યારે સપડા સરકારી માધ્યમિક શાળા ખાતે ધોરણ-1ના 19, ધોરણ-8ના 15, આંગણવાડીના 2 અને બાલવાટિકાના 8 મળી કુલ 44 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ અપાયો હતો.

આ પ્રસંગે મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ માત્ર એક સરકારી કાર્યક્રમ નથી, પરંતુ દરેક બાળકના જીવનમાં જ્ઞાનના નવા દ્વાર ખોલે છે. તેમણે ઉમેર્યું કે, “દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય અને વિકસિત ભારતના સ્વપ્ન સાથે જોડવાનો એક પવિત્ર લોકોત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ.”

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી તેઓ ભવિષ્યમાં દેશના જવાબદાર અને સશક્ત નાગરિક બની શકે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આજે શિક્ષણ માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, ટેકનોલોજી પ્રત્યેની સમજ, નવીનતા અને જીવન કૌશલ્યોના વિકાસ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. નવી પેઢી શિક્ષણના માધ્યમથી આત્મનિર્ભર બને અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે તે સમયની જરૂરિયાત છે.

મંત્રીએ બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળા અને પરિવાર બંનેની સમાન જવાબદારી પર ભાર મૂક્યો હતો. તેમણે વાલીઓને સક્રિય સહભાગી બનવા અપીલ કરી હતી, જેથી દરેક બાળક નિયમિત રીતે શાળાએ આવે, અભ્યાસ પ્રત્યે રસ કેળવે અને પોતાના સપનાઓને સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ રહે. શિક્ષણ એ વ્યક્તિ અને સમાજના વિકાસનો મજબૂત પાયો છે. રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેના પરિણામે રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે.

