રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રઘુવંશી સમાજ ટિકિટ ફાળવણીમાં થયેલા અન્યાય મુદ્દે ભાજપ સામે મેદાને પડ્યો છે. 18 એપ્રિલના રોજ ‘રઘુવંશી યુવા શક્તિ સંઘ’ના નેજા હેઠળ યોજાયેલી એક સભામાં આક્ષેપ કરાયો હતો કે, પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે પોતાના અંગત સ્વાર્થ માટે વોર્ડ નંબર 1, 2 અને 3માં રઘુવંશી સમાજના મુરતિયાઓની ટિકિટ કાપી છે.
સભામાં ‘ડૉ. દર્શિતાબેન શાહ હાય હાય’, ‘જ્યાં રઘુવંશી ઉમેદવાર નથી, ત્યાં અમારો વોટ NOTA ને’ અને ‘ટિકિટ અમારી કાપી, ભૂલ તમે મોટી કરી’ જેવા સૂત્રો લખેલા પ્લે કાર્ડ્સ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. સમાજના અગ્રણીઓએ ચીમકી આપી હતી કે જો આ અન્યાય ચાલુ રહેશે, તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના 40 લાખ રઘુવંશીઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરી નવો ઈતિહાસ રચશે. અંતમાં, ઉપસ્થિત લોકોએ રઘુવંશી સમાજની શપથ પત્રિકા વાંચી ભાજપને મત ન આપવાના સોગંદ લીધા હતા.

ગુજરાત પ્રભારી કુલદીપ રઘુવંશીએ ગીતાના શ્લોકને ટાંકીને જણાવ્યું કે, હક્ક માટે લડવું અનિવાર્ય છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શું માત્ર ત્રણ મહિલા ઉમેદવારો અઢી લાખની રઘુવંશી વસ્તીનું પ્રતિનિધિત્વ કરી શકે? ત્યારબાદ સૌએ એક થઈને અન્યાય સામે લડત આપવા અને જાગૃતિપૂર્વક મતદાન કરવાની હાકલ કરી હતી.

