ખંભાત
ખંભાતના મોચીવાડ સ્થિત નાન ફળિયા ખાતે રહેતો પરિવાર અમદાવાદ ખાતે ખાધા ખોરાકીના મેળામાંથી પરત ફરતા અકસ્માત નડ્યો હતો. જેમાં ઘરના મોભીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતુ, જ્યારે ૩ મહિલાઓને ઇજાઓ થવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાતના નાન ફળિયા વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ સોમચંદભાઈ રાણા તથા તેમનો પુત્ર સહિત ત્રણ પુત્રવધુ સાથે અમદાવાદ ખાધા ખોરાકીના મેળામાં ગયા હતા. જે બાદ પરત તેઓ ખંભાત ખાતે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન નેજા રોડ પર એકદમ વણાક આવતા ડ્રાઈવરે ગાડી પરનો કાબુ ગુમાવતા ગાડી ઝાડ સાથે ધડાકા ભેર અથડાયતા કારનો કુચો બોલી ગયો હતો. જેમાં પ્રવીણભાઈ સોમચંદભાઈ રાણાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતુ. જ્યારે અન્ય કાર સવાર ઇલાબેન વિપુલભાઈ રાણા વર્ષાબેન હિતેશભાઈ રાણા અને હિતેશભાઈ કમલેશભાઈ રાણા અને કાશ્મીરાબેન પરેશભાઈ રાણાને સામાન્ય ઇજા થવા પામી હતી. સ્થાનિકો દ્વારા ૧૦૮ને જાણ કરતા ૧૦૮ ઘટનાસ્થળે દોડી આવી ઈજાગ્રસ્તોને ખંભાતની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે કરમસદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.


