મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
સરકારી વિનયન અને વાણિજય કોલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજના NSS વિભાગ દ્વારા અનારા ગામ ખાતે આયોજિત સાત દિવસીય નિવાસી ગ્રામ શિબિરનો સમાપન સમારંભ યોજાયો. પ્રસ્તુત કાર્યક્રમમાં ખેડા જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન જીતેન્દ્રસિંહ ચૌહાણ, અનારા ગ્રામયપંચાયતના ઉપ સરપંચશ્રી સિરાજભાઈ વ્હોરા, લઘુમતી મોરચાના પ્રમુખ સોહિલભાઈ મલેક, અનારા પગાર કેન્દ્ર શાળાના આચાર્ય મનીષભાઈ પ્રજાપતિ, સરકારી કોલેજ કઠલાલના આચાર્ય ડો. અમિતકુમાર પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે તેઓને પુષ્પાંજલિ અર્પણ કરીને કરાઈ હતી. સોહિલભાઇ મલેકે યુવાઓને પોતાના જીવનમાં સ્વામી વિવેકાનંદના ઉચ્ચ આદર્શો અંકિત કરી રાષ્ટ્રની સેવા કરવા હર હંમેશ તત્પર રહેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. NSS સ્વયં સેવકોએ પોતાના સાત દિવસના સામાજિક કાર્યોના અનુભવો વાગોળ્યા હતા. કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓ દ્વારા આપણું ગામ, હરિયાળું ગામના નારા સાથે વૃક્ષા રોપણ કરવામા આવ્યું હતું. પ્રસ્તુત સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર પ્રાધ્યાપક પરેશકુમાર એચ. પટેલ દ્વારા કરાયું હતું.


