રાજકોટ
રાજકોટમાં ૮૦ ફુટ રોડ ઉપર આંબેડકરનગર વિસ્તારમાં રહેતા અને મનપાની ઢોર પકડ પાર્ટીમાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર કામ કરતા સિદ્ધાર્થ ઉર્ફે રઘો જીવણભાઈ મકવાણા નામના ૨૬ વર્ષીય યુવાનની સરાજાહેર છરીના ચાર ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. અગાઉના ઝઘડાના મુદ્દે યુવાનની હત્યા કરાયાની શંકા છે. જાે કે પોલીસ તપાસ બાદ બનાવ પાછળનું ચોક્કસ કારણ બહાર આવશે. હાલથોરાળા પોલીસે ૨ આરોપીઓની કરી ધરપકડ છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ નવા થોરાળા મેઈન રોડ પર સ્વામી નારાયણ સ્કૂલ સામે રહેતો અને મનપાની ઢોર પકડ પાર્ટીમાંકોન્ટ્રાક્ટ બેઈઝથી કામ કરતો સિદ્ધાર્થ ઉર્ફે રઘો જીવણભાઈ મકવાણા ગત મોડી રાત્રે ૮૦ ફુટ રોડ નજીક આંબેડકરનગર વિસ્તારમાં શેરી નં.૧ નજીક હતો ત્યારે અજાણ્યા શખ્સોએ તેના પર છરી વડે ઘાતક હુમલો કરતાં તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. ૧૦૮ને જાણ કરાતા સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે સિદ્ધાર્થને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં થોરાળા પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. અને જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. મૃતક એક બહેન અને એક ભાઈમાં નાનો હતો. તેના પિતા મજુરી કામ કરે છે. મૃતકને તેના જ વિસ્તારમાં રહેતા અમુક શખ્સો સાથે અગાઉ માથાકુટ થઈ હતી. જેના કારણે તેની ર્નિમમ હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે. હાલ પોલીસે બે આરોપીને દબોચીને હત્યાનું કારણ જાણવાની તજવીજ હાથ ધરી છે.


