સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સૌપ્રથમ કેમ્પમા એચસીજી હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે હૃદયના રોગોના નિષ્ણાત (કાર્ડિયોલોજિસ્ટ) શ્રી ડો. રેનીશ બેરા સાહેબે ૪૦ થી વધારે હૃદય રોગના દર્દીઓની તપાસ કરી તેમાંથી જરૂરી લાગતા ૩૦થી વધારે દર્દીઓનું ઇકો કાર્ડિયોગ્રામ પણ કર્યું. કેમ્પ દરમિયાન મહત્વની બાબત એ છે કે ડોક્ટર રેનીશ બેરા સાહેબે બધા દર્દીઓને પૂરતો સંતોષકારક સમય આપી અને તેમના આરોગ્ય બાબતની વિસ્તૃત માહિતી આપી. જે કેમ્પનો સમય બપોરે ૨-૦૦ વાગ્યા સુધી રાખવામાં આવેલ તે કેમ્પ સાંજે ૬-૩૦ વાગે સમાપ્ત થયેલ, અલબત્ત સાવરકુંડલા મુકામે આરોગ્ય ક્ષેત્રની મર્યાદાઓને ધ્યાનમાં રાખતા કાર્ડિયોલોજીનો કેમ્પ કરવું તે ખૂબ કઠિન છે તેવી સ્થિતિમાં સૌપ્રથમ વખત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલામાં આ કેમ્પ યોજાયો જેમાં અમૂલ્ય સહકાર બદલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર એચસીજી હોસ્પિટલ રાજકોટ, તેમના સંચાલક શ્રી ડો. વસંતભાઈ પટેલ સાહેબ તથા ડો. રેનિશ બેરા સાહેબ તથા તેમની ટીમનો આભાર માને છે. બીજા કેમ્પની વાત કરીએ તો યુરોલોજી વિભાગનો ત્રીજો કેમ્પ સતત ત્રીજા અઠવાડિયે યોજવામાં આવેલ જેમાં યુરોલોજિસ્ટ ડો. કેતન પંડ્યા સાહેબે ત્રણ ઓપરેશન કરેલ તથા ૨૫થી વધારે દર્દીઓની તપાસ કરેલ. જ્યારે ત્રીજા કેમ્પની વાત કરીએ તો કીમોથેરાપીના કેમ્પમાં સુરતથી આવતા ઓનકો ફીઝિશિયન ડો. હનીબેન પારેખે આ વખતેની વિઝીટમાં સૌપ્રથમ વાર એક સાથે ૧૧ દર્દીઓને કીમોથેરાપી આપેલ જેમાં ડો. દર્શનાબેન શિયાળે તેમની સાથે રહી વ્યક્તિગત રીતે બધા દર્દીઓની સંભાળ લીધેલ. આ ત્રણેય કેમ્પને સફળ બનાવવા ઉર્જાસભર તથા સંસ્થા માટે હંમેશા ખડે પગે રહેનાર એવા ટ્રસ્ટી શ્રી જયકાંત સંઘવી સાહેબે ખાસ બે દિવસનો કિમતી સમય ફાળવી ભારે જેહમત ઉઠાવી અને સંસ્થા માટે સતત કાર્યશીલ એવા શ્રી અશોકભાઈ કારિયા સાહેબે કેમ્પ માટે જરૂરી માર્ગદર્શન આપેલ.


