સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા ખાતે આવેલ માનવમંદિરે નાગેશ્રી પોલીસ એક મનોરોગી મહિલાને મૂકી ગયેલ. જેનું નામ શાંતાબેન પરમાર હોવાનું જણાવ્યું હતું અને ઉંમર ૫૨ વર્ષ આ બાબતે પૂ. ભક્તિરામ બાપુને ફોન આવ્યો કે અમારા પરિવારની મહિલા આપના આશ્રમમાં છે. અને બતાવેલ ફોટો જોઇને પૂ. ભક્તિરામ બાપુએ કહ્યું કે હા અહિંયા છે અને સંપૂર્ણ સલામત છે. પરિવારે એ મહિલાના ગુમ થયાની ફરિયાદ કોડીનાર પોલીસ સ્ટેશનમાં લખાવેલી જ્યારે ગઈકાલે આધાર પુરાવા રજૂ કરતાં સાવરકુંડલા પોલીસ અને નાગેશ્રી પોલીસની ઉપસ્થિતિમાં આ મહિલાને તેના પરિવારને સોંપી દેવામાં આવેલ. આમ સમાજમાં પોતાના પરિવારથી વિખૂટા પડેલ મનોરોગી બહેનો સાજી થઈ અને પોતાના પરિવાર સાથે મિલન થાય તેવા શુભ ભાવનાથી માનવમંદિરના પૂ. ભક્તિરામ બાપુ અહીં આશ્રય લેતી મનોરોગી બહેનોની સારસંભાળ ખૂબ જ જતન પૂર્વક અને સંપૂર્ણ વાત્સલ્ય ભાવથી કરે છે. અહીં આશ્રય લેતી મનોરોગી બહેનોની તબીબી તપાસ સારવાર પણ નિયમિત અંતરે થઈ રહી છે. આ આશ્રમમાં નિવાસ કરતી તમામ મનોરોગી બહેનોની ભોજન સમેત તમામ જવાબદારીઓ પૂ. ભક્તિરામ બાપુ દ્વારા સંપૂર્ણ નિશુલ્ક હોય છે. આ આશ્રમમાં રખડતી ભટકતી મનોરોગી બહેનોને પોલીસ દ્વારા અહીં લાવવામાં આવતી મનોરોગી બહેનોની આશ્રમમાં આશ્રય આપવામાં આવે છે. અહીં ભોજન, નિવાસ બે ટાઇમ દવા તમામ પ્રકારની સુવિધાઓ વિનામૂલ્યે પ્રદાન કરવામાં આવી રહી છે. આ તકે પૂ. ભક્તિરામ બાપુએ ગુજરાત પોલીસની સુંદર કામગીરીને બિરદાવી હતી. કારણ કે રસ્તા પર રખડતી ભટકતી મનોરોગી બહેનોને સલામત રીતે અહીં લાવી અહીં આશ્રમમાં દાખલ કરવામાં આવે છે. અને સાજા થયાં બાદ તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં પણ પોલીસ તંત્ર ખૂબ જ અગત્યની કામગીરી કરે છે.


