Gujarat

કમોસમી વરસાદે ગોંડલના ખેડૂતો થઇ ગયા કંગાળ, વાવેલી તમામ દડુંગળી ખરાબ થઇ ગઈ

ગોંડલ
રાજ્યમાં કમોસમી વરસાદથી જગતના તાતને દુઃખી કર્યા છે અને મોટા પ્રમાણ ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદથી શિયાળુ પાકમાં પણ ખેડૂતોને ઘઉં, ધાણા, લસણ જેવા વિવિધ પાકોમાં વ્યાપક નુકસાન થયું હતું. ઉનાળુ સીઝનના વિવિધ પાકો મોટા ભાગે ખેડૂતોને તૈયાર હતા, ત્યાં ફરી કમોસમી વરસાદી માવઠાથી તલ, ડુંગળી, અડદ, મગ જેવા અનેક પાકોમાં વરસાદી પાણી પડતા ખેડૂતોના પાક નાશ પામ્યા છે. ગોંડલ તાલુકામાં ૨ દિવસ પૂર્વે આવેલા કમોસમી વરસાદથી તાલુકાના ગોમટા, નવાગામ, લીલાખા, વાસાવડ, દેરડી સહિતના ગામોમાં ખેડૂતોના તૈયાર પાકો બરબાદ થઈ ગયા છે. મોટા ભાગના ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. હજુ પણ આગાહી યથાવત હોઈ ખેડૂતો પોતાના બચેલા પાકોને લણવામાં જાેતરાઈ ગયા છે. ખેડૂતો દ્વારા સરકાર કોઈ રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ કરી હતી. ગોંડલના ગોમટા ગામના ખેડૂત નવીનભાઈ પાંચનીએ જણાવ્યું હતું કે, મેં આ વર્ષે ૪ વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. ૨ મહિના પૂર્વે શિયાળુ પાકમાં ધાણાનું વાવેતર કર્યું હતું. ત્યારે કમોસમી વરસાદથી નુકશાની થઇ હતી. હાલમાં કમોસમી વરસાદથી આજે મારો ડુંગળીનો પાક સાવ બગડી ગયો છે. વીઘે લગભગ ૧૦ થી ૧૨ હાજરનો થતો ખર્ચ માથે પડ્યો છે. પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. નવાગામના ખેડૂત મનસુખભાઇ કયાડાએ જણાવ્યું હતું કે, ૫ વીઘામાં મગનો પાક તૈયાર હતો. પરંતુ કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું. આજે ખાતર, દવા, બિયારણ, મજૂરીનો ખર્ચ પણ માથે પડ્યો. વીઘે ૧૫ હજાર જેવો ખર્ચ થાય છે. ખેત મજૂરોને મજૂરી ચૂકવવી મુશ્કેલ છે. પરિવારના ખર્ચથી આજે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. નવાગામ લીલાખાના ખેડૂત યોગેશ કયાડાએ દુખ સાથે જણાવ્યું કે,ઉનાળુ પાકમાં ૧૮ વીઘાના તલ વાવેલા હતા, પાકોને લણવાની તૈયારી હતી, ત્યાં કુદરતી માવઠાંએ તારાજી સર્જી દીધી છે. તલના ઉભા પાકો નિષ્ફળ થતા મોટી નુકશાની થઈ છે. મારી આજીવિકા માત્ર ખેતી છે, ત્યારે મંડળીના ધિરાણ, લોન કે પછી બાળકોના ભણતર કે પરિવારનું ભરણ પોષણ ખર્ચ માટે એક માત્ર સાધન ખેતી છે. હાલમાં આ બગડેલ પાકને પણ સાફ કરવા માટે ખર્ચ વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા સત્વરે ખેડૂતોને સહાય કરે તેવી માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *