ભાડાના મકાનમાં રહેતા પરિવારને મળ્યું ઘરનું ઘર, મજૂરી કામ કરતા લાભાર્થીનું સપનું સાકાર થયું
—
ભાડાના મકાનમાં રહેતા ગોહિલ પરિવારને મળ્યો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત આસરો
—
મકાન સાથે પાણી અને ગટરની લાઈન જેવી પાયાની સુવિધાઓ પણ મળી સરકારનો ખૂબ ખૂબ આભાર- લાભાર્થી શ્રી લાલજીભાઈ ગોહિલ
—
મુલાકાત અને આલેખન: જય મિશ્રા
તસવીરો : એમ.એમ. ધડુક
ફિલ્માંકન : ભૂપત ડી. પાથર
—
અમરેલી, તા.૧૯ મે, ૨૦૨૩ (શુક્રવાર) છેવાડાના માનવીને ઘરનું ઘર ઉપલબ્ધ થાય તેવા હેતુથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી મિશન બની ગયેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાએ અનેક લાભાર્થીઓનું સ્વપ્ન સાકાર કર્યુ છે. આ કડીના ભાગરુપે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત અમરેલીના ગોહિલ પરિવારનું સ્વપ્ન પણ સાકાર થયું છે. અમરેલી શહેરના જેસિંગપરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા લાભાર્થી શ્રી લાલજીભાઈ ગોહિલને તાજેતરમાં જ યોજાયેલા ‘અમૃત આવાસોત્સવ’ કાર્યક્રમ દરમિયાન અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે પોતાના મકાનની ચાવી મળી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં અમરેલીના લાભાર્થી લાલજીભાઈને પોતાનું ઘરનું ઘર મળ્યું છે. શ્રી લાલજીભાઈ હાલમાં ભાડાના મકાનમાં રહે છે અને તેમના મકાનનું નિર્માણ કાર્ય સમાપ્ત થયું છે. ટૂંક સમયમાં તેઓ સહપરિવાર આ મકાનમાં રહેવા જવાના છે. લાભાર્થીએ બે રૂમ રસોડાનું ફળિયાબંધ ઘર બનાવી પોતાનું સ્વપ્ન સાકાર કર્યુ છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતા શ્રી લાલજીભાઈ જણાવે છે કે, હું વર્ષ ૨૦૨૦માં એક પરિચિતના ઘરે ગયો હતો ત્યારે તેમણે મને આ યોજના વિશે માહિતી આપી. મેં નગરપાલિકામાં અરજી કરતા તાત્કાલિક મારું ઘર મંજૂર થઈ ગયું. મને આ યોજના અંતર્ગત મકાનના નિર્માણ માટે રુ. ૩.૫૦ લાખની સહાય મળી. જો કે, મકાન નિર્માણ માટે જરુરી અન્ય રકમની જોગવાઈ થાય તે મુજબ મેં નિર્માણ કાર્ય કર્યુ હોવાથી મારું ઘર હાલમાં જ બન્યું છે.
પાંચ સભ્યોના પરિવારને પોતાનું ઘરનું ઘર મળતા હવે પરિવાર પણ ખુશ છે. શ્રી લાલજીભાઈ વધુમાં જણાવે છે કે, અમારા મકાનનું નિર્માણ સમાપ્ત થયું છે. જો કે, ઘર બનતું હતું તે દરમિયાન જ નળ કનેક્શન અને ગટરની લાઈન પણ અમારા વિસ્તાર સુધી પહોંચી ગઈ છે. હવે અમે ઉજ્જવલા યોજના સહિતની અન્ય યોજનાનો લાભ પણ મેળવીશું. વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂભ આભાર
લાભાર્થીનો પરિવારે કાચા મકાનથી લઈને ભાડાના મકાનમાં જીવન વિતાવ્યું છે ત્યારે પોતાના ઘરનું ઘર મળતા તેમના આરોગ્ય અને સુખાકારીમાં વધારો થશે તેવો વિશ્વાસ સમગ્ર પરિવારે વ્યક્ત કર્યો હતો.
જય ૦૦૦




