આત્મા મરતો નથી પણ જ્યાં સુધી આપણે આત્મસ્વરૂપ થયા નથી ત્યાં સુધી આપણને મૃત્યુનો ભય લાગે છે.મૃત્યુ એક રસપ્રદ ઘટનાક્રમ છે.અંદાજે મૃત્યુના ૪ થી ૫ કલાક અગાઉ પગના તળીયા ઠંડા પડવાની શરૂઆત થાય છે.આ લક્ષણો એમ સૂચવે છે કે પ્રૃથ્વી-ચક્ર જે પગના તળીયે આવેલ છે,તે શરીરથી છૂટૂ પડી રહ્યું છે.જ્યારે મૃત્યુનો સમય આવે છે ત્યારે એમ કહેવાય છે કે યમદૂત તે જીવનું માર્ગદર્શન કરવા માટે આવે છે.
મૃત્યુ સમયે જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે.અંતકાળે યમદુતો તેને રડાવતા નથી પણ ઘરની મમતા રડાવે છે.ઘર છોડવું તેને ગમતું નથી અને યમદુતો તેને ધક્કો મારે છે.પત્ની-પુત્ર-પૈસા છોડવા તેને ગમતા નથી.યમદૂત તેને મારતા નથી પણ ઘરની મમતા તેને મારે છે અને રડાવે છે. જાણે છે કે હું જઈશ ત્યારે કોઈ સ્ત્રી,પુત્ર સાથે આવશે નહિ,મારે એકલાને જ જવું પડશે છતાં વિવેક રહેતો નથી.
અંતકાળમાં બે યમદૂતો આવે છેઃ પાપ પુરૂષ અને પુણ્ય પુરૂષ.પાપ પુરૂષ કહે છે કે તેં બહુ પાપ કર્યા છે એમ કહી મારે છે.પુણ્ય પુરૂષ કહે છે કે તને પુણ્ય કરવાની તક આપી હતી છતાં પણ તેં પુણ્ય કેમ કર્યું નહિ? ભક્તિ કરવાનો તને અવસર આપ્યો હતો છતાં ભક્તિ કેમ ના કરી? તેમ કરીને મારે છે.આ જીવ મરે છે ત્યારે અતિશય તરફડે છે.
યમદૂતોની ગતિ પગથી આંખ સુધીની હોય છે.બ્રહ્મરંઘ્ર (દશમા દ્વાર)માં જે પ્રાણને સ્થિર કરે છે તેને યમદૂતો કંઈ કરી શકતા નથી.શાસ્ત્રમાં એવું લખ્યું છે કે દશમા દ્વારથી જીવ અંદર આવે છે અને જો તે દ્વારમાંથી જીવ બહાર નીકળે તો મુક્તિ મળે છે.અતિ પુણ્યશાળી હોય તો તે જીવ પ્રભુના દરબારમાં જાય છે. આંખમાંથી જીવ બહાર નીકળે તો તે જીવ સ્વર્ગ-લોકમાં જાય છે, મુખમાંથી જીવ બહાર નીકળે તો તે જીવ મનુષ્ય યોનિમાં ફરીથી જાય છે, મુખથી નીચે અને ડુંટીથી ઉપરના ભાગમાંથી જીવ બહાર નીકળે તો પશુ-પક્ષીની યોનિમાં જાય છે અને ડુંટીથી નીચેના ભાગમાંથી જીવ બહાર નીકળે તો પ્રેત યોનિમાં જીવ જાય છે.
મૃત્યુ સમયે અને જન્મ સમયે એટલી બધી વેદના થાય છે કે મર્યા પછી પૂર્વજન્મ યાદ આવતો નથી.સ્થૂળ શરીરની અંદર સૂક્ષ્મ શરીર છે અને તેની અંદર કારણ શરીર (વાસનાઓ) છે.યમદૂતો જીવાત્માને સૂક્ષ્મ શરીર અને કારણ શરીર-વાસનાઓ સાથે યમપુરીમાં લઇ જાય છે.અતિપાપી માટે યમપુરીનો માર્ગ અતિ ભયંકર છે.રસ્તામાં એને ત્રણસો કુતરાં કરડવા આવે છે.ગરમ રેતી પર ચાલવું પડે છે ત્યારે એકલો રડતો રડતો જીવ જાય છે તેને કોઈ સાથ આપતું નથી. આ પંથે માત્ર ધર્મ જ સાથ આપે છે.ધર્મ (સ્વ-ધર્મ) જીવને ધીરજ આપે છે કે હું તને બચાવીશ.(ધર્મ સાચો મિત્ર છે.)ચિત્રગુપ્ત જીવાત્માએ કરેલાં પાપ-પુણ્ય જીવાત્માને યમ દરબારમાં સંભળાવે છે.
જીવાદોરી એટલે આત્મા અને શરીર સાથેનું જોડાણ.મ્રુત્યુનો સમય આવતાં યમદૂતના માર્ગદર્શનથી જીવાદોરી કપાય છે અને આત્માનું શરીર સાથેનું કનેક્શન કપાઈ જાય છે,આ પ્રક્રિયાને જ મ્રુત્યુ કહે છે. સામાન્ય રીતે જ્યાં સુધી અગ્નિદાહ આપવામાં આવે ત્યાં સુધી આત્મા શરીરની આસપાસ જ રહે છે.પહેલાં સાત દિવસ સુધી એ આત્મા તેની મનગમતી જગ્યાએ ફરે છે.દરેક જીવાત્માને જન્મના ચાલીસ દિવસ સુધી પોતાનો પાછલો જન્મ યાદ રહે છે ત્યારબાદ પાછલા જન્મની બધી સ્મૃતિ વિસરાઈ જાય છે.
ચિત્રગુપ્ત એટલે ચિત્તની ગુપ્ત વાતો જાણનાર. ચિત્તની ગુપ્ત વાતો જાણે તેને ચિત્રગુપ્ત કહે છે. સાક્ષીમાં સૂર્યદેવ અને વાયુદેવ છે.દિવસના કરેલા પાપની સાક્ષી સૂર્યદેવ આપે છે.રાતના પાપની વાયુદેવ.આ જીવ બારણા બંધ કરીને પાપ કરે છે કે મને કોઈ જોતું નથી પણ તારો બાપ જે અંદર બેઠો છે તે તો જુએ છે? પૃથ્વી ચંદ્ર સૂર્ય વગેરે ચૌદ સાક્ષીઓ છે તે પરમાત્માના સેવકો છે તે સાક્ષી આપે છે કે અમે તેને પાપ કરતા નજરે જોયું છે.પાપની જેમ પુણ્યની પણ સાક્ષી અપાય છે પછી જીવાત્માએ તે કબુલ કરવું પડે છે.તે પછી પાપ-પુણ્ય પ્રમાણે જીવની ગતિ નક્કી થાય છે.પાપ વધુ હોય તો નરકની સજા થાય છે. પાપ-પુણ્ય સરખા હોય તો તે ચંદ્રલોકમાં જાય છે.પુણ્ય હોય તો તે સ્વર્ગમાં જાય છે.સ્વર્ગમાં પુણ્ય ભોગવીને પુણ્યનો ક્ષય કરીને પુણ્ય ખૂટી જાય એટલે ફરી મનુષ્ય લોકમાં જન્મ લેવો પડે છે આને ચૌરાશીનું ચક્કર કહે છે.જન્મ મરણનું દુઃખ જ્યાં સુધી છે ત્યાં સુધી જીવને શાંતિ નથી.જીવને શાંતિ ત્યારે થાય જયારે મનુષ્ય યોનિમાં તે પરમાત્માનો સાક્ષાત્કાર કરે.
ઇશ્વરનો સાક્ષાત્કાર કરવો એ જ માનવ જીવનનો વાસ્તવિક ઉદેશ્ય છે.ઇશ્વરે અમોને મનુષ્યો જન્મ પ્રભુ ભક્તિના માટે જ આપ્યો છે પરંતુ અમો આ સંસારમાં આવીને અહીના સાંસારીક કાર્યોમાં પોતાને એટલા બધા લીન કરી બેઠા છીએ કે જીવનના વાસ્તવિક ઉદેશ્ય સેવા સુમિરણ સત્સંગ ભજનના માધ્યમથી ઇશ્વરની પ્રાપ્તિે કરવાનું ભુલી ગયા છીએ.સદગુરૂ આ ધરતી ઉ૫ર ઇશ્વરનો દૈવી પ્રતિનિધિ હોય છે કે જેના માધ્યમથી જ અમારા જેવા અજ્ઞાની જીવો અમારા આત્માને ઇશ્વરરૂપી સાગરમાં લીન કરી શકીએ છીએ. આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિના માટે સમયના સદગુરૂના શરણમાં જવું અનિવાર્ય છે.મનુષ્ય ગમે તેટલા પ્રયત્નો કરે તેમ છતાં સદગુરૂ કૃપા વિના આત્મજ્ઞાન બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી.
વિષયમાંનો રાગ,વિષયોમાં આસક્તિ માત્ર ઈશ્વરનો સાક્ષાત્કાર થાય ત્યારે,ઈશ્વરની કૃપા થાય ત્યારે જ નિવૃત્ત થાય છે.
બ્રહ્મજ્ઞાનના ત્રણ સોપાન છેઃજાણવું, જીવનમાં ઉતારવું અને બ્રહ્મમય બની જવું.જ્યાં સુધી સર્વવ્યાપી પ્રભુ પરમાત્માનાં સાક્ષાત દર્શન-અપરોક્ષાનુભૂતિ ના થાય ત્યાં સુધી રામનું નિર્મલ જ્ઞાન, વિમલ વિવેક થતો નથી.રામનું જ્ઞાન અને વિશ્વાસ ત્રણ રીતે થાય છેઃશાસ્ત્ર દ્વારા, ગુરૂ દ્વારા અને પોતે પોતાના દ્વારા.જ્યાં સુધી શાસ્ત્ર કૃપા, ગુરૂકૃપા અને આત્મકૃપાના દ્વારા પ્રભુનો સાક્ષાત્કાર થતો નથી ત્યાં સુધી લક્ષચૌરાશીનો ચક્કર સમાપ્ત્ થઇ મુક્તિ મળતી નથી અને વ્યક્તિ માયામાં અહીં તહીં ભટકતો રહે છે.
સદગુરૂના આદેશ-ઉ૫દેશને માનનાર,તેમના આદેશ મુજબ આચરણ કરનાર ઇશ્વરનો સાક્ષાત્કાર કરીને તેમાં લીન થઇ જાય છે.ગુરૂ વચનોની સહાયતાથી તેને કાળનો ભય રહેતો નથી.જ્યાંસુધી સદગુરૂની શરણાગતિ લેવામાં આવતી નથી ત્યાંસુધી પ્રભુ મિલનની વાતો ફક્ત કોરી કલ્પના જ છે.
ઈશ્વરનું નિર્ગુણ સ્વરૂપ (બ્રહ્મ)અતિ સૂક્ષ્મ છે.મન અને બુદ્ધિ અતિ સૂક્ષ્મ ન થાય ત્યાં સુધી ઈશ્વરના નિર્ગુણ સ્વરૂપનો અનુભવ થતો નથી.ઈશ્વરનું સગુણ સ્વરૂપ અતિ તેજોમય છે.સગુણ સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાની મનુષ્યમાં શક્તિ નથી.ગીતામાં અર્જુન પણ ભયથી બોલી ઉઠેલો કે તમારૂં આ રૂપ જોઈ મારું મન ભયથી વ્યાકુળ થઇ રહ્યું છે.
સંત નિરંકારી મિશન કોઈપણ આધ્યાત્મિક વાતોનું ખંડન કર્યા સિવાય પૂર્ણ રૂપથી આધ્યાત્મિક વાતો અપનાવી નિર્ગુણ નિરાકાર પ્રભુ પરમાત્માનો સાક્ષાત્કાર કરાવે છે અને આ રીતે પ્રેમ,દયા,કરૂણા દ્વારા એક બીજા માનવો વચ્ચે પડેલા અંતરને દૂર કરીને સમગ્ર સંસાર એક પરિવારની ભાવના ફેલાવી રહ્યું છે.
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


