જૂનાગઢ જિલ્લામાં સતત યોગનો વ્યાપ વધી રહ્યો છે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિમાયેલા યોગ કોચ અને તેમની હેઠળ તૈયાર થયેલા ટ્રેનર્સ દ્વારા યોગને જન-જન અને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે એક અભિયાન ચાલી રહ્યું છે
સૌરાષ્ટ્ર ઝોનના યોગ પ્રચારક શ્રી દિલીપસિંહ પરમાર કહે છે કે, આજના ભાગદોડ અને તનાવભર્યાં જીવનના કારણે લોકોનો યોગ તરફ ઝુકાવ વધ્યો છે. આજે કેટલાક રોગોમાં એલોપથી દવાથી અસરકારક પરિણામ મળી નથી રહ્યું. ઉપરાંત ડાયાબિટીસ, સ્થૂળતા, પેટના દર્દો સહિતના અન્ય રોગોથી લોકો પરેશાન જોવા મળી રહ્યા છે. આ સ્થિતિમાં લોકો યોગને વિકલ્પ તરીકે પસંદ કરી રહ્યા છે.
તેઓ કહે છે કે, આપણે જોયું કે, કોરોના કાળમાં યોગ-પ્રાણાયામથી લોકોને ખૂબ ફાયદો થયો હતો. તે નિષ્ણાતોએ પણ સ્વીકારી હતું. આમ, યોગથી લોકોને શત પ્રતિશત ફાયદો થઈ રહ્યો છે અને લોકોને યોગથી મળેલા પરિણામના કારણે યોગ અપનાવનાર લોકોની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે
જૂનાગઢ જિલ્લામાં ૧૦૦ જેટલા યોગ ક્લાસ ચાલી રહ્યા છે. તાલીમબદ્ધ યોગ કોચ અને ટ્રેનર્સ દ્વારા લોકો સુધી યોગ પહોંચાડવામાં આવી રહ્યો છે, હવે તો આ યોગ કોચ- ટ્રેનર હેઠળ યોગા કરતા સાધકો પણ અન્ય લોકોને યોગ અપનાવા માટે પ્રેરણા આપવાની સાથે યોગ શીખવાડી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનરને તૈયાર કરવા માટે યોગકોચને માસિક રૂ.૫૦૦૦નું માનક વેતન આપવામાં આવે છે. આ માટે દરરોજ એક કલાક સુધી ટ્રેનરને યોગની તાલીમ આપવાની હોય છે. તેવી જ રીતે ટ્રેનરને પોતાના વિસ્તારમાં લોકોને યોગ શીખવાડવા માટે રૂ.૩૦૦૦નું માનદ વેતન આપવામાં આવે છે. જો યોગ ટ્રેનર સવાર-સાંજ એક એક કલાક એમ બે સેશનમાં યોગ શીખવાડે તો રૂ.૬૦૦૦નું માનક વેતન મળવા પ્રાપ્ત થાય છે. આમ, જન-જન સુધી યોગ પહોંચી રહ્યો છે.
