છોટાઉદેપુર
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશની એકતા અને ફિટ ઇન્ડિયાનો સંદેશો આપવા માટે ત્રિપુરા પોલીસ દ્રારા કેવડીયા સુધી બાઇક રેલી યોજવામાં આવી છે. આ બાઇક રેલી છોટાઉદેપુર ખાતે આવી પહોંચતા જીલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ રેલીનું સ્વાગત કર્યું હતું.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ત્રિપુરા પોલીસ દ્રારા બાઇક રેલી કાઢવામાં આવી છે. આ રેલી આજે છોટાઉદેપુર ખાતે આવી પહોંચી હતી. રેલી છોટાઉદેપુર ખાતે આવી પહોંચતા જીલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા અને અન્ય પોલીસ અધિકારીઓએ વિશ્રામ ગૃહ છોટાઉદેપુર ખાતે ઉપસ્થિત રહી ભાવભીનું સ્વાગત કર્યું હતું.
બાઇક રેલીમાં ત્રિપુરા સ્ટેટ રાયફલ ના પચ્ચીસ જવાનો બાઇક લઇને ત્રિપુરા, આસામ, બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ થઈ ગુજરાતમાં છોટાઉદેપુર ખાતે થઈ કેવડીયા જશે. કેવડીયા ખાતે તા. ૩૧મી, ઓક્ટોબરના રોજ યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી કાર્યક્રમમાં સહભાગી બનશે.
આ અંગે વાત કરતા ત્રિપુરા સ્ટેટ રાયફલ ના સુદર્શન દાસે જણાવ્યું હતું કે, ત્રીપુરાથી ગુજરાત સુધી એક્તા રેલીનો અનુભવ સુખદ રહ્યો છે. ૧૪મી, ઓક્ટોબરથી ૨૫ મોટરસાઇકલ લઇને રેલીની શરૂઆત કરી હતી. ત્રિપુરા, આસામ, બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ થઇ સલામત રીતે ગુજરાત પહોંચી ગયા છીએ. પૂર્વોત્તર ભારત તરફથી બધા જ રાષ્ટ્રીય એકતામાં
દેશની સાથે છે એમ જણાવી તેમણે દેશની જનતાએ રેલીને આપેલા પ્રતિસાદથી અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ એમ જણાવ્યું હતું. વધુમાં તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા e દેશની એકતાનું પ્રતિક છે. આગામી તા.૩૧મી, ઓક્ટોબરના રોજ યોજાનારા કાર્યક્રમમાં સહભાગી થવા માટે કેવડીયા જઈશું એમ જણાવ્યું હતું.
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
