*જવાહર નવોદય વિદ્યાલય અલિયાબાડા ખાતે ત્રિદિવસીય ક્ષેત્ર સ્તરીય બાસ્કેટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ*
ઉદ્ઘાટન સમારોહમાં સાંસદ શ્રી પૂનમબેન માડમે વિશેષ ઉપસ્થિત રહી બાળકોને શુભકામનાઓ પાઠવી
*જામનગર નવોદય વિદ્યાલય સમિતિ, શિક્ષા મંત્રાલય, ભારત સરકાર દ્વારા સંચાલિત અને પુણે ક્ષેત્રીય કાર્યાલય દ્વારા નિર્દેશિત ક્ષેત્ર સ્તરીય બાસ્કેટબોલ ટૂર્નામેન્ટનો જામનગરના અલિયાબાડા જવાહર નવોદય વિદ્યાલય ખાતે તા.11 જુલાઈના રોજ પ્રારંભ કરવામાં આવ્યો. ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં સાંસદશ્રી પૂનમબેન માડમે વિશેષ ઉપસ્થિત રહીને બાળકોને શુભકામનાઓ પાઠવી હતી. આ ત્રણ દિવસીય ખેલ મહોત્સવમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દીવ,દમણ અને ગોવા વિસ્તારના નવોદય વિદ્યાલયનાં ચયનિત બાળકોએ ભાગ લીધો છે.

સાંસદ શ્રી પૂનમબેન માડમે વિદ્યાલયનાં પરિણામ, વ્યવસ્થા, બાળકોની કલાઓ, ક્ષમતાઓની પ્રશંસા કરી બાળકોને રાષ્ટ્ર નિર્માણ માટે સજ્જ થવા પ્રેરિત કર્યાં હતા. તેમજ વિદ્યાલયના પ્રાચાર્ય શ્રી મહેન્દ્રપાલસિંહ દ્વારા સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ઉદ્ઘાટન સમારોહમાં બાળકો દ્વારા ગરબા અને પિરામીડ જેવી કલાઓનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં ખાસ મહેમાન તરીકે ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો. મિત્તલ પટેલ, વાલી શિક્ષક પરિષદ તરફથી શ્રી જમનભાઈ ડાભી, શ્રી નીર્માંલભાઈ ઉપાધ્યાય વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમનાં અંતે વિદ્યાલયનાં વરિષ્ટ શિક્ષક શ્રી સોબરન સિંહ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમનાં સુત્રસંચાલન માટે વિદ્યાલયનાં અંગ્રેજી શિક્ષક જયંતીલાલ કાન્તીયાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ સમાગમને સુંદર બનાવવા માટે એસ્કોર્ટસ, વિદ્યાલયનાં બાળકો, શિક્ષકો, ભોજનાલય કર્મચારીઓ, શારીરિક શિક્ષકો, નિર્ણાયકો તથા અન્ય તમામ કર્મચારીઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું.તેમ જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


