નવીદિલ્હી
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વર્તમાન કોચ રાહુલ દ્રવિડની ઈમેજ ખૂબ જ શાલીન વ્યક્તિની છે. ક્રિકેટના મેદાનમાં કે જાહેર જીવનમાં તેઓ ભાગ્યે જ (કદાચ ક્યારેય) ગુસ્સે થતા જાેવા મળ્યા નથી. મોટા ભાગના લોકો તેમનામાં એવું શિષ્ટ વ્યક્તિત્વ જુએ છે જે તેમના શાંત અને નમ્ર વર્તનથી તેમની સામે હૃદય અને દિમાગ પર અમીટ છાપ છોડી જાય છે. પરંતુ આ રાહુલ થોડા વર્ષો પહેલા એક જાહેરાતમાં પોતાને ‘ઇન્દિરા નગર કા ગુંડા’ કહેતા અને બેટ વડે કારની બારી તોડતા જાેવા મળ્યા હતા, જેથી તેના ચાહકો પણ ચોંકી ગયા હતા. તાજેતરમાં જ એક કાર્યક્રમમાં રાહુલે આ કોમર્શિયલ સાથે જાેડાયેલી વાતો શેર કરી હતી. તેણે કહ્યું કે, ‘એવા લોકો છે જે મને હવે અલગ રીતે જુએ છે. તેઓ વિચારે છે કે આ વ્યક્તિ ક્યારે વિસ્ફોટ કરશે. તે ખરેખર સારો અને સકારાત્મક પ્રતિભાવ છે. મને જે પ્રતિક્રિયાઓ મળી રહી હતી તેના વિશે મને ખાતરી ન હતી પણ મને લાગે છે કે તે ખરેખર સારી રીતે લેવામાં આવ્યું છે. તે મારી માતા સિવાય દરેક માટે સકારાત્મક છે પરંતુ તે હજુ પણ તેના વિશે ચોક્કસ નથી. મારા મતે તેમને હજુ પણ લાગે છે કે મારે કારના કાચ તોડવા ન જાેઈએ. દ્રવિડે આગળ કહ્યું, ‘આ કદાચ સૌથી શરમજનક કામોમાંથી એક છે જે મેં કર્યું છે – મુંબઈની ગલીઓ સામે ઉભા રહીને. ભલે તે એક એડ શૂટ હોય, પરંતુ તમે જાણો છો કે તમારી આસપાસ એવા લોકો છે જે ‘સેમી એક્ટર્સ’ છે અથવા કોઈ અન્ય. આમ છતાં મારા જેવા વ્યક્તિ માટે રસ્તાની વચ્ચે ઉભા રહીને બૂમો પાડવી ખરેખર શરમજનક બાબત હતી. તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલીએ લગભગ બે વર્ષ પહેલા આવેલી આ એડનો વીડિયો પણ ટિ્વટર પર શેર કર્યો હતો. તેણે રમુજી સ્વરમાં લખ્યું – રાહુલભાઈની આવી બાજુ ક્યારેય જાેઈ નથી.


