નવીદિલ્હી
કેન્ડીમાં રમાઈ રહેલી આ મેચમાં વરસાદને કારણે રમાઈ રહેલી મેચમાં વિક્ષેપ પડ્યો હતો. પિચને આવરી લેવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેચમાં વરસાદ પહેલા ભારતે ૪.૨ ઓવરમાં કોઈપણ નુકશાન વિના ૧૫ રન બનાવી લીધા હતા. પરંતુ ત્યાર પછી તુરંત રોહિત ૧૧ રન બનાવીને આઉટ થઈ ગયો હતો જ્યારે શુભમન ગિલ હજુ ખાતું ખોલી શક્યો નહોતો. કેપ્ટન રોહિત શર્મા શાહીન આફ્રિદીનો શિકાર બન્યો હતો. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ શાહીન શાહ આફ્રિદીનો શિકાર બન્યો હતો. કોહલી ૭ બોલમાં માત્ર ૪ રન બનાવીને આઉટ થયો હતો. બેટિંગની શરૂઆતમાં જ કોહલીએ પોતાની સ્ટાઈલમાં શાનદાર કવર ડ્રાઈવ મારી હતી પરંતુ ત્યાર પછી શાહીન આફ્રિદીનો એક બોલ કોહલીનાં બેટની ઈન્સાઈડ એજ લઈને સ્ટમ્પમાં ઘૂસી ગયો હતો. ત્યાર પછી ભારતની ત્રીજી વિકેટ તરીકે શ્રેયસ ઐયર આઉટ થઈ ગયો હતો. શ્રેયસ બોલને હૂક કરવાનાં પ્રયાસમાં ફખર ઝમાનને કેચ આપી બેઠો હતો. ૯.૫ ઓવર્સમાં ભારતે ૩ વિકેટ ગુમાવી દીધી હતી અને ટીમનો સ્કોર ૪૮ રનમાં ત્રણ વિકેટ થઈ ગયો હતો. આ ત્રણમાંથી પહેલી બે વિકેટ શાહીન આફ્રિદી અને ત્રીજી વિકેટ હારીસ રાઉફે લીધી હતી. રોહિત શર્માએ પાકિસ્તાન સામે ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય લીધો છે. મેદાનમાં વાદળો હતા. આવી સ્થિતિમાં દરેકને આશા હતી કે ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરશે. પરંતુ રોહિતે કહ્યું હતું કે તે હવામાન વિશે વધુ વિચારતો નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી છેલ્લી ૫ વનડેના રેકોર્ડ પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયા ૪-૧થી આગળ છે. આવી સ્થિતિમાં રેકોર્ડ ભારતીય ટીમના પક્ષમાં છે. ભારતીય ટીમે પલ્લેકેલેમાં તમામ ૩ વનડે જીતી છે. એટલે કે મેદાન પર તેનો રેકોર્ડ પણ શાનદાર છે.

