ગાંધીનગર જિલ્લામાં આજથી ચારેય તાલુકામાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ નો આરંભ થશે.
ગાંધીનગર,
સમગ્ર રાજ્યમાં ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તેવા ઉમદાશયથી રાજ્યભરમાં આજથી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો આરંભ થઈ રહ્યો છે. તારીખ ૨૪ અને ૨૫ મી નવેમ્બરના રોજ યોજાનાર રવિ કૃષિ મહોત્સવ થકી ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને રવિ સિઝનના રવિ પાકો વિશે આધુનિક કૃષિ અંગેની રસપ્રદ માહિતીઓ કૃષિ તજજ્ઞ દ્વારા આપવામાં આવશે. આ બે દિવસ દરમિયાન કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે સેવાસેતુ કાર્યક્રમ પણ યોજાનાર છે.
ગાંધીનગર જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવ તારીખ ૨૪ મી નવેમ્બર થી આરંભ થઈ રહ્યો છે. જેમાં માણસા તાલુકાનો ગ્રામભારતી અમરાપુર ખાતે, દેહગામ તાલુકાનો ઔડા ઓડિટોરિયમ હોલ ખાતે, ગાંધીનગર તાલુકાનો શારીરિક શિક્ષણ રમતગમત વિદ્યાશાળા, ગુજરાત વિદ્યાપીઠ સાદરા ખાતે અને કલોલ તાલુકાનો કડવા પાટીદાર ૪૨ સમાજની વાડી કલોલ – માણસા હાઈવે ભાંદોલ ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાશે.
ગાંધીનગર જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવનું સુચારું આયોજન ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી હિતેશ કોયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભી ગૌતમના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

