એક મહિલાને ઇસ્લામાબાદ પોલીસે કથિત અપમાન, ઉત્પીડન અને ત્રાસના ૨૬ કલાક પછી મુક્ત કરતા વિરોધ વધુ તીવ્ર બન્યો
બલૂચિસ્તાન ફરી ઉકળી રહ્યું છે. લોકો બલૂચ નરસંહાર અને યુવાનોના કથિત અપહરણનો વિરોધ કરી રહ્યા છે. તાજેતરમાં પોલીસ દ્વારા ચાર બલોચી યુવાનોની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. આ પછી લોકો રસ્તા પર આવી ગયા અને પોલીસે ૨૦૦થી વધુ લોકોની અટકાયત કરી. આ પૈકી, એક મહિલાને ઇસ્લામાબાદ પોલીસે કથિત અપમાન, ઉત્પીડન અને ત્રાસના ૨૬ કલાક પછી મુક્ત કરી હતી, જે પછી વિરોધ વધુ તીવ્ર બન્યો છે.. બલૂચિયો માટે કામ કરતી સંસ્થા યાકજાહતી સમિતિએ મહિલાની મુક્તિને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. સમિતિ દ્વારા બલૂચ નાગરિકોને એકત્ર થવા અને પ્રદર્શન કરવા અપીલ કરવામાં આવી હતી. આ પછી, દેશના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં લોકો ઇસ્લામાબાદ જવા લાગ્યા. હાલમાં, બરખાન, રુકની, ફોર્ટ મુનરો, તૌંસા, ડીજી ખાન, ક્વેટા, કેચ, ગ્વાદર, વાધ, કોહલુ, કલાત, હબ અને વિવિધ વિસ્તારોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.. બલૂચ નરસંહાર વિરુદ્ધ ૨૮ દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને આ દરમિયાન ૨૦૦થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.
જેમાંથી ૧૬૨ લોકોને અદિયાલા જેલમાં ખસેડવામાં આવ્યા છે અને ૫૦થી વધુ લોકોને ઈસ્લામાબાદની અલગ-અલગ જેલોમાં નજરકેદ કરવામાં આવ્યા છે. પોલીસ કસ્ટડીમાં ગેરકાયદેસર હત્યા અને અત્યાચાર સામે રસ્તા પર ઉતરી આવેલા લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો, તેમની અટકાયત કરી અને જેલમાં ધકેલી દીધા.. આ કૂચ બાલાચ મોલા બક્ષના મૃત્યુથી શરૂ થઈ હતી, જેને ૨૯ ઓક્ટોબરના રોજ આતંકવાદ વિરોધી પોલીસ દ્વારા તેમના ઘરેથી કથિત રીતે ઝડપી લેવામાં આવ્યો હતો.
બલૂચ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલે ઇસ્લામાબાદ પોલીસની કાર્યવાહીની નિંદા કરી, માનવ અધિકારોનું સન્માન કરવાના મહત્વ પર ભાર મૂક્યો અને બલૂચ લોકો સામેના ગુનાઓ માટે જવાબદાર લોકોની જવાબદારીની માંગ કરી. બલૂચીઓની કૂચ અન્ય ઘણા જિલ્લાઓમાં ફેલાઈ ગઈ છે. બલૂચિસ્તાનથી લઈને પંજાબ સુધી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન પોલીસ સામાજિક કાર્યકરો, વૃદ્ધો, બાળકો અને મહિલાઓની પણ અટકાયત કરી રહી છે.

