રાણપુર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં ૭૫મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી કરવામાં આવી

રાણપુરની ધન્ય ધરાએ આઝાદીની લડતમાં અનોખો ભાગ ભજવ્યો છે:મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

બોટાદ જિલ્લાકક્ષાની ૭૫ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત ગુજરાતના જળ સંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા એ રાણપુરની ઐતિહાસીક ભૂમિ ખાતે તિરંગો લહેરાવ્યો હતો.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ ઉર્જાવાન પ્રવચન કરતા જણાવ્યુ હતું કે, “સમગ્ર દેશમાં ૭૫મા

પ્રજાસત્તાક પર્વની આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બોટાદ જિલ્લાના નાગરિકોને હું

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે હાર્દિક અભિનંદન પાઠવું છું. આજના આ અનેરા અવસરે બોટાદ જિલ્લાના રાણપુરના આંગણે પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રધ્વજ લહેરાવતા હું આનંદની લાગણી અનુભવું છુ તેમણે જણાવ્યું કે, બોટાદ જિલ્લો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે.

રાણપુરનો ઈતિહાસ સુવર્ણ અક્ષરોમાં કંડારાયેલો છે. રાણપુર અનેક સત્યાગ્રહોનું મહત્વનું સ્થાન બન્યું હતું. બોટાદ જિલ્લાના વિકાસ માટે જિલ્લા વહિવટી તંત્ર પ્રસંશનીય કામગીરી કરી રહ્યું છે. બોટાદ જિલ્લાનો આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પ્રધાનમંત્રી આવાસ યોજના, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નેશનલ રૂરલ લાઇવલીહૂડ મિશન, પોલીસ વિભાગ, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ઊર્જા વિભાગ, પશુપાલન વિભાગ સહિત તમામ વિભાગોની કામગીરી નોંધપાત્ર રહી છે.”આ અવસરે સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોમાં જાગૃતતા આવે તે માટે અલગ અલગ ઝાંખી રજૂ કરવામાં આવી હતી.

જેમાં દાદા- દાદીના દોસ્ત પ્રોજેક્ટ દર્શાવતી બોટાદ જિલ્લા પોલીસની ઝાંખી, ખેતીવાડી વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતીનું મહત્વ દર્શાવતી ઝાંખી, પી.જી.વી.સી.એલ. કચેરી દ્વારા સૌર ઉર્જાના મહત્વ દર્શાવતી ઝાંખી, આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા પાપા પગલી, માતૃશક્તિ યોજના તેમજ આંગણવાડીની વિવિધ સેવાઓનું નિદર્શન કરતી ઝાંખી, જિલ્લા શિક્ષણ વિભાગની કચેરી દ્વારા વિદ્યાર્થિનીને સ્વ-રક્ષણની તાલીમ તેમજ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ દર્શાવતો ટેબ્લો, પી.એમ.જે.વાય. ટેબ્લો, બોટાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારતનો સંદેશ આપતો ટેબ્લો તેમજ ઈ.વી.એમ નિર્દશનવાન દ્વારા મતદાન પ્રક્રિયાને લાગતી માહિતી પ્રસ્તુત કરવામાં આવી હતી. આ તકે મંત્રી એ પરેડનું નિરીક્ષણ કરીને જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.વિવિધ શાળાઓના વિધાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. મંત્રીએ રાણપુર તાલુકાના વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટર ને અર્પણ કર્યો હતો. તેમજ મંત્રીના વરદહસ્તે જિલ્લાના વિકાસ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સમાજ સેવા સાથે જોડાયેલા રાણપુરના ટેક્ષપીન બેરીંગ કંપનીના માલીક અને ઉદ્યોગપતિ વિશાલભાઈ મકવાણા,RMP બેરીંગ કંપનીના માલીક અને ઉદ્યોગપતિ મિતેનભાઈ મકવાણા ને સન્માનપત્રો આપી સન્માન કરવામાં આવ્યુ હતુ તેમજ રમતવીરોને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખઓ, જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયા, જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બળોલિયા, નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાત, જિલ્લા ભાજપ પ્રમુખ મયૂરભાઈ પટેલ,જીલ્લા પંચાયત આરોગ્ય સમિતીના ચેરમેન કેશુભાઈ પંચાળા,રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ માણપુરીયા,રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર,રાણપુર APMC ના ચેરમેન કીશોરભાઈ ધાધલ,પ્રાંત અધિકારી સહિતના જિલ્લાના અગ્રણીઓ- અધિકારીઓ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં રાણપુર શહેર અને તાલુકાના અને બોટાદ જીલ્લાના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

