Gujarat

ગોંડલ અક્ષર મંદિરે BAPS સંસ્થાના નવયુવાન 150 સંતોની પધરામણી; હાર તોરા કરી સ્વાગત કરવામાં આવ્યું

શ્રી અક્ષર મંદિર ગોંડલમાં બી.એ.પી.એસ. સંસ્થાના નવયુવાન 150 સંતો દર્શને પધારતા સમગ્ર પરિસર ભગવા રંગે રંગાઈ ગયું. સ્થાનિક વડીલ પૂ.સંતોએ તમામને હાર તોરા કરી સત્કાર્યા હતા મહેમાન પૂ.સંતોની સમૂહ સ્મૃતિછબી સૌના માટે અવિસ્મરણીય બની હતી. બ્ર.સ્વ.પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સ્થાપિત પ્ર.બ્ર.સ્વ. મહંતસ્વામી મહારાજ પ્રેરિત અને બી.એ.પી.એસ. સંસ્થા સંચાલીત સારંગપુર સંત તાલીમ કેન્દ્રના પૂજ્ય સંતો પધાર્યા છે.

આ સંત તાલીમ કેન્દ્રમાં આદિવાસી કે અમેરિકાવાસી, તમામ સાધકો 7 વર્ષ દરમ્યાન પૂ.સંતો હિંદુ ધર્મના મહાન ધર્મગ્રંથો વેદ, રામાયણ, મહાભારત, પુરાણ, ઉપનિષદ વગેરેનો ખુબ જ ઊંડાણ પૂર્વક અભ્યાસ કરે છે. આ ઉપરાંત ઠાકોરજીની મહાપુજા, વાઘા – શણગાર, સાફસફાઈ વગેરે જેવી સેવાના પાઠો સાથે સનાતન સાધુતાના શાશ્વત પાઠો પણ પૂ.ગુરુજી સંતોના સાનિધ્યમાં રહીને શીખે છે. તો રૂચિ અનુસાર રસોઈ, શિક્ષણ, સંગીત, વકતૃત્વ, લેખન વગેરે કલાવિષયોમાં પણ નિપુણ બને છે.

યુવાન વયે સંસારની મોહ માયાનો ત્યાગ કરી વૈરાગ્યનો વિકટ પંથ સ્વીકારનાર તમામ પૂ.સંતોની ચરણરજથી ગોંડલની પવિત્ર ભૂમિ વધુ એક વખત પુણ્યવંતી બની હતી અને સર્વે સંતોને એક સાથે અક્ષર મંદિર ના દ્વારે ઉભા રહ્યા ત્યારે એક સનાતની રંગ છવાયો હતો.