Gujarat

માત્ર એક ભારતીય કંપનીએ બનાવેલી શાહી માત્ર ભારત જ નહિ, ૩૦ દેશોમાં લોકશાહીની રક્ષક

દેશમાં ચૂંટણીનો માહોલ છે. તેની સૌથી મોટી ઓળખ આંગળી પર શાહીનું નિશાન છે, જે તાત્કાલિક ભુંસાતુ નથી. પરંતુ શું તમે જાણો છો કે ચૂંટણીમાં ધાંધલ ધમાલ રોકવા માટે ‘વિશ્વાસ’ના પ્રતીક તરીકે લાવવામાં આવેલી આ શાહી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ૩૦ દેશોમાં લોકશાહીની રક્ષક છે. માત્ર એક ભારતીય કંપની જ તેનું ઉત્પાદન કરે છે. મૈસૂર પેઇન્ટ્‌સ અને વાર્નિશ ૧૯૬૨ થી આ શાહીના એકમાત્ર સપ્લાયર છે. આ શાહીનો ઉપયોગ મતદાતાએ મત આપ્યા બાદ તેની આંગળી પર લગાવીને ચૂંટણીમાં કરવામાં આવે છે.

આ દર્શાવે છે કે તેણે પોતાની મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને હવે તે ફરી મતદાન કરી શકશે નહીં. પરંતુ જાણો આ શાહીની વાસ્તવિક શરૂઆત ૧૯૩૭ થી થાય છે. મૈસૂર પેઈન્ટ્‌સ એન્ડ વાર્નિશ કંપનીની રચના ૧૯૩૭માં મૈસુર રાજ્યના તત્કાલીન મહારાજા નલવડી કૃષ્ણરાજા વાડયાર દ્વારા ‘મૈસુર લાખ એન્ડ પેઈન્ટ્‌સ વર્ક્‌સ’ તરીકે કરવામાં આવી હતી. તે સમયે મૈસૂર અને નાગરહોલના જંગલોમાંથી એકત્ર કરાયેલા આ એકમમાં ‘લાખ’ (જંતુઓમાંથી મેળવવામાં આવતો પદાર્થ) બનાવવાનું કામ કરવામાં આવતું હતું. તેનો હેતુ સ્થાનિક લોકોને ‘લાખ’ એકત્ર કરવાનું કામ આપવાનો હતો.

તે સમયે લાખમાંથી બંગડીઓ બનાવવામાં આવતી હતી. ભારતીય રેલવે અને ભારતીય પોસ્ટ આ લાખની મદદથી બનેલા મીણથી પરબિડીયાઓ અને પાર્સલને સીલ કરતી હતી. બાદમાં ચૂંટણી પંચે પણ આ જ પદ્ધતિનો ઉપયોગ કરીને મતપેટીઓ સીલ કરવાની શરૂઆત કરી હતી. ચૂંટણી પંચની વિનંતી પર જ કંપનીએ અદમ્ય શાહી બનાવવાનું શરૂ કર્યું. જ્યારે ઈન્દિરા ગાંધીએ ૧૯૮૦માં ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ પસાર કર્યો ત્યારે કંપનીએ જંગલોમાંથી સામગ્રી એકઠી કરવાનું બંધ કરી દીધું હતું. આ પછી કંપનીએ તેનું નામ બદલીને મૈસૂર પેઇન્ટ્‌સ એન્ડ વાર્નિશ કર્યું. આજે સીલિંગ માટે વપરાતા મીણમાં લાખનો ઉપયોગ થતો નથી. જાે કે કંપની હજુ પણ કેટલીક કુદરતી પોલિશ બનાવે છે, જેમાં રોઝવૂડ અને ટીકવુડથી લઈને વૃંદાવન આલ્કોહોલિક પોલિશનો સમાવેશ થાય છે.

કંપની ૧૯૪૦ થી મૂળ ફોર્મ્યુલેશન પર આ પોલિશનું ઉત્પાદન કરી રહી છે. આ કંપની ચૂંટણી નિષ્પક્ષ રાખવા માટે તેની અદમ્ય શાહી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ૩૦ દેશોમાં નિકાસ કરે છે. જેમાં થાઈલેન્ડ, સિંગાપોર, નાઈજીરીયા, મલેશિયા, કંબોડિયા અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. બીજી ખાસ વાત એ છે કે આ શાહીની ફોર્મ્યુલા અમુક પસંદગીના કર્મચારીઓને જ કહેવામાં આવે છે અને તે તેમના નિવૃત્તિ પછી જ તેને પાસ ઓન કરવામાં આવે છે. તેનું ઉત્પાદન સરકારી અધિકારીઓની દેખરેખ હેઠળ થાય છે. આ કંપની ૧૦૦ થી વધુ લોકોને રોજગારી આપે છે અને ૧૯૯૧થી નફો કમાઈ રહી છે. કંપનીની કુલ આવકના ૬૦ ટકા સુધી આ શાહીમાંથી આવે છે. વર્ષ ૨૦૧૬-૧૭માં કંપનીએ રૂપિયા ૬.૧૮ કરોડનો નફો કર્યો હતો.